VIDEO: મહારાષ્ટ્રના પાલઘરમાં ભારે વરસાદ, એનડીઆરએફ તૈનાત
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ભારે વરસાદે જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે, જ્યાં મધરાતથી પશ્ચિમ દરિયાકાંઠા સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદના કારણે નાલા સોપારા, વસઈ અને કેળવે નજીક રેલવે ટ્રેક પર પાણી ફરી વળતાં મુંબઈ-અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે અને અનેક ટ્રેનો અટવાઈ ગઈ છે. બીજી તરફ, કેળવે સહિતના વિસ્તારોને પાણી પૂરું પાડતા ઝાંઝરોલી ડેમનો એક ભાગ ધસી પડતાં સ્થાનિકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. ગ્રામજનોએ વર્ષોથી ડેમની જર્જરિત સ્થિતિ અંગે રજૂઆતો છતાં યોગ્ય કામગીરી ન થવાનો આક્ષેપ કરી સરકાર પાસે તાત્કાલિક મજબૂતીકરણની માંગ કરી છે. ડેમની નીચે આવેલા 8થી 10 ગામો માટે સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. જિલ્લા કલેક્ટર ઇન્દુરાની જાખડે સ્થળની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી છે, જ્યારે NDRFની એક ટીમને તૈનાત કરવામાં આવી છે. ઝાંઝરોલી સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને નાગરિકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે.

