Up news: મુલાયમસિંહના પુત્ર પ્રતીક યાદવના અંતિમ સંસ્કાર આજે સવારે 11 વાગ્યે કરવામાં આવશે

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવના પુત્ર અને સપાના વડા અખિલેશ યાદવના ભાઇ પ્રતીક યાદવનું ૩૮ વર્ષની વયે મોત નિપજ્યું છે. નિયમિત જીમમાં કસરત કરીને સિક્સ પેક એબ બનાવીને ચર્ચામાં રહેતા પ્રતીક યાદવનું અચાનક જ મોત થતા પરિવાર અને ચાહકોમાં દુઃખની લાગણી ફેલાઇ ગઇ છે. પ્રતીકના ફેફસાની લોહીની નળીઓમાં ગઠ્ઠા જામી જવાને કારણે હાર્ટ પર અસર પડી તેથી મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે.
લોહીમાં મોટો ગઠ્ઠો થઇ જતા ફેફસાને લોહી ના મળ્યું તેથી શ્વાસોશ્વાસની પ્રક્રિયા અને હ્ય્દય બન્ને બંધ પડી જતાં મૃત્યુ
સમાજવાદી પાર્ટીના સ્થાપક અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયસિંહ યાદવના સૌથી યુવા વયના પુત્ર પ્રતીક યાદવનું ૩૮ વર્ષની વયે નિધન થયું હતું, તેના સાવકા ભાઇ અખિલેશ યાદવે આ જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી અને ભાઇના નિધનને પગલે દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે પ્રતીક બહુ જ સારો વ્યક્તિ હતો, પોતાના દમ પર કઇક પ્રાપ્ત કરવા માગતો હતો, બે મહિના પહેલા જ મારી તેની સાથે મુલાકાત થઇ હતી.
દુઃખ સાથે કહેવુ પડે છે કે આજે તે અમારી વચ્ચે નથી
લખનઉના કિંગ જ્યોર્જ હોસ્પિટલમાં પ્રતીકનો પીએમ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, હોસ્પિટલ દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રતિકના ફેફસામાં લોહીની નસોમાં લોહીના ગઠ્ઠા જામી ગયા હતા. એક મોટા કદના ગઠ્ઠાને કારણે શ્વાસ લેવાની શરીરની સિસ્ટમ અને હ્યદય બંધ પડી ગયા હતા. ડોક્ટરોએ સરળ ભાષામાં સમજાવતા કહ્યું હતું કે ફેફસામાં લોહીનો મોટો ગઠ્ઠો જામી ગયો તેથી ફેફસાને મળતું લોહી અટકી ગયું તેથી હ્ય્દય અને શ્વાસોશ્વાસની પ્રક્રિયા બંધ થઇ ગઇ.
પ્રતીકને હતી હાઈપરટેન્શન, હાઇ બ્લડ પ્રેશર વગેરેની બીમારીઓ
પ્રતીકની અગાઉ સારવાર કરનારા એક ડોક્ટર રુચિતા શર્માએ કહ્યું હતું કે પ્રતીકને હાઇપરટેન્શન, હાઇ બ્લડ પ્રેશર વગેરેની બીમારીઓ હતી, થોડા દિવસો પહેલા જ પ્રતીક અમારી પાસે સારવાર માટે આવ્યા હતા તે સમયે તેમણે શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરી હતી, રિપોર્ટમાં લોહીના ક્લોટ પણ જોવા મળ્યા હતા. તેથી તેને લોહી પાતળુ કરવાની સારવાર અપાઇ હતી. ૨૦૧૧માં પ્રતીક યાદવના લગ્ન અર્પણા બિસ્ટ સાથે થયા હતા, અર્પણા યાદવ ભાજપના નેતા છે, બન્ને વચ્ચે સંબંધોેને લઇને પણ વિવાદો ચાલી રહ્યા હતા.

