મહારાષ્ટ્ર: ટ્રેઇની IAS પૂજા ખેડકરે પુણેના DM વિરુદ્ધ ઉત્પીડનનો આરોપ લગાવ્યો

IAS Pooja Khedkar: UPSCમાં નિમણૂકને લઈને વિવાદોમાં ફસાયેલી ટ્રેઇની IAS અધિકારી પૂજા ખેડકરે હવે પુણેના ડીએમ પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. પુણે જિલ્લા મેજિસ્ટ્રેટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી કાર્યવાહીની માંગ કરી છે.
ટ્રેઇની IAS પૂજા ખેડકરની તાલીમ રદ
આ અગાઉ મહારાષ્ટ્ર કેડરની ટ્રેઇની IAS પૂજા ખેડકરની તાલીમ રદ કરવામાં આવી છે. મસૂરી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ અકેડેમી ઑફ એડમિનિસ્ટ્રેશન એટલે કે LBSNAA એ પૂજાની ટ્રેનિંગ તાત્કાલિક રદ કરી દીધી છે. આ ઉપરાંત તેમને નોટિસ ફટકારીને અકેડેમીમાં પરત બોલાવી લેવામાં આવ્યા છે. જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તે અહીં રહેશે.
કરોડોના માલિકની પુત્રી છતાં ઉઠાવ્યો ગેરલાભ
પૂજા ખેડકરે તો OBC સર્ટિફિકેટમાં પણ ગરબડ કરી હોવાના આરોપ લાગી રહ્યા છે. પૂજા ખેડકરના પિતાએ વર્ષ 2024માં લોકસભા ચૂંટણી લડી હતી. જેમાં પિતાએ કુલ 40 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. જેથી સવાલ ઉઠી રહ્યા છે કે પિતા પાસે જો કરોડો રૂપિયા હોય તો પુત્રી પૂજા પાસે OBCનું નોન ક્રિમીલેયર સર્ટિફિકેટ આવ્યું ક્યાંથી?

