ઋતબ્રત બેનરજીની CM સુવેન્દુ સાથે 40 સેકન્ડની મુલાકાત બાદ TMCનો પડી ગયો મોટો ખેલ

પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક મોટો રાજકીય સંયોગ સર્જાયો છે. 4 મેના રોજ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં આંતરિક ડખાં શરૂ થઈ ગયા છે. મમતા બેનરજીએ ભલે જાહેરમાં હાર સ્વીકારી નહોતી, પરંતુ તેમની બેઠકોમાં ધારાસભ્યો અને સાંસદોની હાજરી સતત ઘટવાની શરૂ થઈ ગઈ. બીજી તરફ ટીએમસી નેતાઓ વિરૂદ્ધ લોકોનો ગુસ્સો જોવા મળી રહ્યો હતો. આ દરમિયાન 22 મેના રોજ દિલ્હીના બંગ ભવનમાં એક એવો સંયોગ થયો, જેણે બંગાળના સમીકરણો બદલી નાખ્યા.
માત્ર 40 સેકન્ડની મુલાકાત, બંગાળમાં મોટો ખળભળાટ મચાવ્યો
નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી (CM Suvendu Adhikari) અને ટીએમસીના ધારાસભ્ય ઋતબ્રત બેનરજી (Ritabrata Banerjee) વચ્ચે બંગ ભવનના ગલિયારામાં માત્ર 40 સેકન્ડની મુલાકાત થઈ હતી. આ ટૂંકી મુલાકાત બાદ ઋતબ્રત બેનરજી ટીએમસીના 60 ધારાસભ્યો સાથે બાગી થઈ ગયા છે. તેઓ મમતા બેનરજીને પોતાના નેતા જરૂર માની રહ્યા છે, પરંતુ પોતે વિધાનસભામાં વિપક્ષી નેતાની ખુરશી પર બેસવા જઈ રહ્યા છે. તેમણે સ્પીકરને 60 ધારાસભ્યોના હસ્તાક્ષર વાળો પત્ર સોંપતા સ્પીકરે તેમને વિપક્ષી નેતાના રૂમની ચાવી પણ આપી દીધી છે.
40 સેકન્ડની મુલાકાતમાં શું વાત થઈ?
ઋતબ્રત બેનરજીએ આ મુલાકાતની વિગતો આપતા જણાવ્યું કે, 'હું જ્યારે ત્યાં હતો ત્યારે અચાનક અવાજ આવ્યો કે, શું વિધાયક સાહેબ, બંગ ભવનમાં રોકાયા છો? મેં જોયું તો ત્યાં રાજ્યના મુખ્યમંત્રી હતા. તેમણે મને નમસ્કાર કર્યા અને મેં પણ જવાબ આપ્યો. ત્યારબાદ મેં કહ્યું કે, ના દાદા, હું મારો બંગલો ખાલી કરવા આવ્યો છું અને સંસદની બાકીની પ્રક્રિયા પૂરી કરવા આવ્યો છું.'આ સાંભળીને સીએમ શુભેન્દુ અધિકારીએ કહ્યું કે, 'હું વહીવટી બેઠકોમાં તમામ વિપક્ષી ધારાસભ્યોને પણ બોલાવી રહ્યો છું, તમે પણ બેઠકમાં આવજો.' તેના જવાબમાં ઋતબ્રત બેનરજીએ કહ્યું કે, 'માહિતી મળવા પર ચોક્કસ આવીશ.'

