VIDEO : પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે TMCના 291 ઉમેદવારોનું લિસ્ટ જાહેર, મમતાએ ભાજપ- ચૂંટણી પંચને કર્યું આહ્વાન
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે તેમની પાર્ટી TMCના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. તેમણે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઉમેદવારોની સંપૂર્ણ યાદી જાહેર કરી. મમતાએ કહ્યું, "બધા ધર્મો અને જાતિઓનું સન્માન કરતા હું બધી 294 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવા જઈ રહી છું." જોકે, તેમણે હાલમાં 291 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, બાકીની ત્રણ બેઠકો ગઠબંધનના ઉમેદવારો માટે છોડી દીધી છે.
ભાજપ પર કટાક્ષ કરતા મમતાએ ટિપ્પણી કરી, "હું ભાજપને પૂછવા માંગુ છું, તમે શા માટે ડરો છો? એજન્સીઓ સાથે છેડછાડ કરવા અને પેટ્રોલ અને ગેસના ભાવ વધારવાને બદલે આગળ આવો અને લોકશાહીને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરીએ.
ચૂંટણી પંચને આગળ સંબોધતા કહ્યું, "હું તમને એક પ્લેટફોર્મ બનાવવા અને ખુલ્લેઆમ તમારો પ્રચાર કરવા વિનંતી કરું છું. લોકોને મતાધિકારનો ઉપયોગ કરવા મંચ લગાવીને પ્રચાર કરો. બધા સરકારી અધિકારીઓ આપણા બધાના છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે તૃણમૂલ કોંગ્રેસે (TMC) 291 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. બાકીની ત્રણ બેઠકો અંગે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, દાર્જિલિંગની 3 બેઠકો પર અનિત થાપાના નેતૃત્વવાળી ભારતીય ગોરખા પ્રજાતાંત્રિક મોરચા (BGPM) ચૂંટણી લડશે.
મમતા બેનર્જી ભવાનીપુરથી ચૂંટણી લડશે
સીએમ મમતા બેનર્જી ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી લડશે. ઉમેદવારોની યાદી જાહેર કરતી વખતે તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, ચૂંટણી પંચ ભાજપ તરફથી 'સારી રમત' રમી રહ્યું છે, તેઓએ સીધો જ ભાજપ માટે પ્રચાર કરવો જોઈએ. તેમણે દાવો કર્યો હતો કે 2026માં બંગાળમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં TMC 226થી વધુ બેઠકો જીતશે. ભાજપે ભવાનીપુર બેઠક પરથી શુભેન્દુ અધિકારીને પણ ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.
નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી નહીં લડે મમતા બેનર્જી
મુખ્યમંત્રી મમતા બેનર્જી 2021ની વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક પર ભાજપના શુભેન્દુ અધિકારી સામે હારી ગયા હતા. ત્યારબાદ તેઓ ભવાનીપુરથી પેટાચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા હતા. આ વખતે તેમણે નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. TMCએ નંદીગ્રામથી આજે જ પાર્ટીમાં સામેલ થયેલા પવિત્ર કાર્કેઈને ટિકિટ આપી છે. પવિત્ર કાર્કેઈ વિપક્ષી નેતા શુભેન્દુ અધિકારીના નજીકના સહયોગી હતા અને તેમણે 2021ની ચૂંટણીમાં શુભેન્દુ અધિકારીની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 2021માં એક TMC કાર્યકરની હત્યાના સંબંધમાં તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી.
TMCએ 3 બેઠકો છોડી
TMCએ મુર્શિદાબાદ જિલ્લાની ભરતપુર બેઠક પરથી મુસ્તફિઝુર રહેમાનને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પરથી હિમાયુ કબીર ધારાસભ્ય હતા, જેમણે બાબરી વિવાદ ઊભો કર્યો હતો. આ ઉપરાંત, TMCએ કાલિમપોંગ, કુર્સિયાંગ અને દાર્જિલિંગ બેઠકો અનિત થાપાના નેતૃત્વવાળી BGPM માટે છોડી દીધી છે.
291 ઉમેદવારોમાંથી 52 મહિલાઓ
તૃણમૂલ કોંગ્રેસે દમદમ ઉત્તર બેઠક પરથી ચંદ્રિમા ભટ્ટાચાર્ય, કમરહાટી બેઠક પરથી મદન મિત્રા, કોલકાતા પોર્ટ બેઠક પરથી ફિરહાદ હકીમ, બેલેઘાટા બેઠક પરથી કુણાલ ઘોષ, શ્યામપુકુર બેઠક પરથી ડો. શશિ પાંજા અને હાબરા બેઠક પરથી જ્યોતિપ્રિય મલ્લિકને મેદાનમાં ઉતાર્યા છે. અભિષેક બેનર્જીએ જણાવ્યું કે, પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં TMCના 291 ઉમેદવારોમાંથી 52 મહિલાઓ, 95 અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિ અને 47 લઘુમતી સમુદાયના છે.
બીજી તરફ 16 માર્ચે ભાજપે 144 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી. ભાજપે શુભેન્દુ અધિકારી અને દિલીપ ઘોષને ટિકિટ આપી છે. ભાજપે નંદીગ્રામ અને ભવાનીપુર બેઠકથી શુભેન્દુ અધિકારીને બે બેઠકથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ગત ચૂંટણીમાં શુભેન્દુ અધિકારીએ નંદીગ્રામ બેઠક પર મુખ્યમંત્રી મમતા બેનર્જીને 2000 મતથી હરાવ્યા હતા. બાદમાં ભવાનીપુરથી પેટાચૂંટણીમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગત વખત જીત હાંસલ કરી હતી.
જાણો કયા રાજ્યમાં ક્યારે મતદાન અને મતગણતરી?
પશ્ચિમ બંગાળ: બે તબક્કામાં મતદાન, 23 અને 29 એપ્રિલે મતદાન તો 4 મેના રોજ પરિણામ
તમિલનાડુ: 23 એપ્રિલે એક તબક્કામાં મતદાન, 4 મેના રોજ પરિણામ
કેરલમ: 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન, 4 મેના રોજ પરિણામ
આસામ: 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન, 4 મેના રોજ પરિણામ
પુડુચેરી: 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન, 4 મેના રોજ પરિણામ

