VIDEO:‘ભારત અને હિન્દુ એકબીજાના પર્યાય’, જાહેર કરવાની જરૂર નથી; RSS વડા મોહન ભાગવતનું મોટું નિવેદન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી સમારોહના ભાગરૂપે આસામના ગુવાહાટીમાં એક કાર્યક્રમને સંબોધતી વખતે RSS વડા મોહન ભાગવતે મહત્ત્વનું નિવેદન કર્યું છે. તેમણે ભારત અને હિન્દુ રાષ્ટ્રનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ‘જે ભારત પર ગર્વ કરે છે, તે હિન્દુ છે. હિન્દુ માત્ર એક ધાર્મિક ઓળખ નહીં, પરંતુ એક સંસ્કૃતિગત ઓળખ છે. ભારત અને હિન્દુ એક જ છે.’
‘ભારત અને હિન્દુ એકબીજાના પર્યાય’
ભાગવતે સ્પષ્ટ કહ્યું છે કે, ‘ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની કોઈ જરૂર નથી, કારણ કે તેની સભ્યતા પહેલેથી જ આ વાત જાહેર કરે છે. હિન્દુ શબ્દ ધાર્મિક નહીં પણ હજારો વર્ષોની સાંસ્કૃતિક પરંપરા સાથે જોડાયેલી એક સભ્યતાગત ઓળખ છે. ભારત અને હિન્દુ એકબીજાના પર્યાય છે. ભારતને હિન્દુ રાષ્ટ્ર બનવા માટે કોઈ સત્તાવાર જાહેરાત કરવાની જરૂર નથી.’
RSSની સ્થાપનનો ઉદ્દેશ્ય
મોહન ભાગવતે આરએસએસની સ્થાપનાના ઉદ્દેશ વિશે કહ્યું કે, ‘RSSની સ્થાપના કોઈનો વિરોધ કરવા કે નુકસાન પહોંચાડવા માટે કરાઈ નથી, પરંતુ ચારિત્ર્ય નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ભારતને વૈશ્વિક નેતા બનાવવામાં યોગદાન આપવા માટે કરાઈ હતી. વિવિધતા વચ્ચે ભારતને એક કરવાની પદ્ધતિને આરએસએસ કહેવામાં આવે છે.’

