યુપી મદ્રેસા એક્ટને સુપ્રીમ કોર્ટે આપી માન્યતા, યોગી સરકારને લાગ્યો મોટો ઝટકો

યુપી મદ્રેસા એક્ટ માન્ય છે કે ગેરકાયદે સુપ્રીમ કોર્ટે આ મામલે ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને પલટી નાખ્યો છે અને યુપી મદ્રેસા એક્ટને માન્યતા આપી છે. સુપ્રીમ કોર્ટે યુપી મદ્રેસા એક્ટની બંધારણીયતાને યથાવત રાખી છે. અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ બેંચે 22 માર્ચે યુપી મદ્રસા બોર્ડ એક્ટને બંધારણના મૂળભૂત માળખાની વિરૂદ્ધ ગણાવીને તમામ વિદ્યાર્થીઓને સામાન્ય શાળાઓમાં પ્રવેશ આપવાનો આદેશ આપ્યો હતો.
CJI DY ચંદ્રચુડના નેતૃત્ત્વમાં સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે કહ્યું કે આ યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્ય સરકાર શિક્ષણને નિયમિત કરવા માટે કાયદો બનાવી શકે છે. આમાં અભ્યાસક્રમ, વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય જેવા અનેક પાસાઓનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મદ્રેસાઓ ધાર્મિક શિક્ષણ પણ આપે છે પરંતુ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ પણ વિદ્યાર્થીને ધાર્મિક શિક્ષણ માટે દબાણ કરી શકાય નહીં.
યુપી મદ્રેસા એક્ટ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે મદ્રેસા એક્ટમાં મદ્રેસા બોર્ડને ફાઝીલ, કામિલ જેવી ડિગ્રીઓ આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ યુજીસી એક્ટ વિરુદ્ધ છે. આ દૂર કરવું જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ડિગ્રી આપવી એ ગેરબંધારણીય છે, પરંતુ બાકીનો કાયદો બંધારણીય છે. CJI ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે આ ચુકાદો આપ્યો છે.
આ પણ વાંચો: ન્યાયતંત્રની સ્વતંત્રતાનો અર્થ એ નથી કે સરકાર વિરોધી જ ચુકાદા હોય- CJI ચંદ્રચુડ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે બોર્ડ સરકારની સંમતિથી આવી સિસ્ટમ બનાવી શકે છે, જ્યાં તે મદ્રેસાના ધાર્મિક ચરિત્રને પ્રભાવિત કર્યા વગર સેક્યુલર શિક્ષણ આપી શકે. 5 એપ્રિલે સુપ્રીમ કોર્ટે યુપી મદ્રેસા એક્ટ પર સુનાવણી કરતા હાઇકોર્ટના આદેશ પર વચગાળાની રોક લગાવી દીધી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટે 22 ઓક્ટોબરે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.

