પંજાબમાં મંત્રીને જે ખાતું સોંપાયું તેનું અસ્તિત્વ જ નહોતું, 20 મહિને તો ભગવંત માનને ખબર પડી

પંજાબ સરકારને એ સમજવામાં 20 મહિના લાગ્યા કે તેમના એક શક્તિશાળી મંત્રી જે વિભાગનો હવાલો સંભાળી રહ્યા હતા તે ખરેખર અસ્તિત્વમાં જ નહોતો. મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલને વહીવટી સુધારા વિભાગ સોંપવામાં આવ્યો હતો, પરંતુ હવે સરકારે સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે, આવો કોઈ વિભાગ જ અસ્તિત્વમાં નથી.
મંત્રી કયા વિભાગના નામે 20 મહિના સુધી નિર્ણયો લેતા રહ્યા?
સરકારની અપડેટ સુચના પ્રમાણે હવે ધાલીવાલ પાસે ફક્ત NRI બાબતોના મંત્રાલયનો હવાલો છે. આવી સ્થિતિ ખરેખર આશ્ચર્યજનક છે કે મંત્રી કયા વિભાગના નામે 20 મહિના સુધી નિર્ણયો લેતા રહ્યા?
રાજ્યપાલે સુધારેલો આદેશ જારી કર્યો
રાજ્યપાલ દ્વારા જારી કરાયેલા નવા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી ભગવંત માનની ભલામણ પર, 7 ફેબ્રુઆરી, 2025થી ધાલીવાલનું મંત્રાલય બદલવામાં આવ્યું છે. અગાઉ તેમને કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ પણ મળ્યો હતો, પરંતુ મે 2023ના કેબિનેટ ફેરબદલ વખતે તેમની પાસેથી આ જવાબદારી પરત લઈ NRI બાબતોની સાથે વહીવટી સુધારા વિભાગ સોંપવામાં આવ્યો હતો. જે હવે ફાઇલોમાં પણ જોવા મળતો નથી.
સ્ટાફ નથી, મીટિંગ નથી, છતાં ધાલીવાલ ચૂપ છે
એક અહેવાલ મુજબ, આ વિભાગના નામે કોઈ સ્ટાફની નિમણૂક કરવામાં આવી ન હતી, ન તો ક્યારેય કોઈ બેઠક યોજાઈ હતી. અર્થાત ધાલીવાલ 20 મહિના સુધી કોઈ વાસ્તવિક વિભાગ વિના વિભાગનો હવાલો સંભાળતા રહ્યા.
ઉલ્લેખનીય છે કે, ધાલીવાલ પંજાબ સરકારના મુખ્યમંત્રી ભગવંત માન, નાણામંત્રી હરપાલ ચીમા, નવીનીકરણીય ઉર્જામંત્રી અમન અરોરા અને સામાજિક ન્યાયમંત્રી ડૉ. બલજીત કૌર પછી પાંચમા સૌથી વરિષ્ઠ મંત્રી છે. ખાતાના અસ્તિત્વ વિના જ તેમનીજવાબદારી નક્કી કરવાથી પંજાબ સરકાર માટે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.

