સુખોઈ અને F-2ની સંયુક્ત ગર્જનાથી ધ્રૂજશે ડ્રેગન! જોધપુરમાં જાપાન-ભારત વચ્ચે ઐતિહાસિક યુદ્ધાભ્યાસની તૈયારી

જાપાની વાયુસેનાના F-2 ફાઈટર જેટ્સ પહેલીવાર ભારતીય ધરતી પર આવી રહ્યા છે. આ લડાયક વિમાનો ભારતીય વાયુસેનાના સુખોઈ Su-30MKI ફાઈટર જેટ્સ સાથે જોધપુરમાં સંયુક્ત ઉડાન ભરશે. આ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને જાપાન વચ્ચે સૈન્ય સંબંધોને વધુ મજબૂત કરવાનો છે. બંને દેશો એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ચીનના આક્રમક વલણનો સામનો કરી રહ્યા છે.
જોધપુરમાં યોજાશે 'વીર ગાર્ડિયન 2026' યુદ્ધાભ્યાસ
ટોક્યો દ્વારા કરવામાં આવેલી અધિકૃત જાહેરાત અનુસાર, જાપાન એર સેલ્ફ-ડિફેન્સ ફોર્સ (JASDF) પહેલીવાર પોતાના લડાયક વિમાનોની ટુકડી ભારત મોકલી રહી છે. આ ટુકડીમાં 3 F-2 ફાઈટર જેટ અને 110 સૈનિકો સામેલ છે. આ વિમાનો દક્ષિણ-પશ્ચિમ જાપાનના ફુકુઓકા સ્થિત સુઇકી એરબેઝથી ઉડાન ભરીને ઓકિનાવા અને થાઈલેન્ડ થઈને જોધપુર પહોંચશે. આ લાંબી મુસાફરી દરમિયાન અમેરિકી વાયુસેનાના એરિયલ રિફ્યુઅલર (હવામાં બળતણ ભરતા વિમાનો) દ્વારા તેમાં ફ્યુઅલ ભરવામાં આવશે.
અભ્યાસનું શિડ્યુલ અને મહત્વ
'વીર ગાર્ડિયન 2026' સંયુક્ત વાયુસેના અભ્યાસ રાજસ્થાનના જોધપુર એરફોર્સ સ્ટેશન ખાતે 9 સપ્ટેમ્બરથી શરૂ થઈને 21 સપ્ટેમ્બર, 2026 સુધી ચાલશે. JASDFના ચીફ ઓફ સ્ટાફ તાકેહિરો મોરીતાના જણાવ્યા મુજબ, આ અભ્યાસ બંને દેશોની વાયુસેનાઓ વચ્ચે વ્યૂહાત્મક કૌશલ્ય, પરસ્પર સમજણ અને વિશ્વાસ વધારવાની ઉત્તમ તક પૂરી પાડશે.
જાપાની F-2 ફાઈટર જેટની ખાસિયતો
F-2 એ અમેરિકાના ચર્ચિત F-16 ફાઈટર જેટ પર આધારિત જાપાન દ્વારા વિકસાવવામાં આવેલું મલ્ટીરોલ ફાઈટર જેટ છે. આ વિમાનમાં એડવાન્સ્ડ AESA રડાર, કમ્પોઝિટ વિંગ્સ અને આધુનિક જાપાનીઝ એવિઓનિક્સ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જાપાને આ વિમાનને ખાસ કરીને એન્ટી-શિપ ઓપરેશન્સ (સમુદ્રી હુમલા) માટે ડિઝાઈન કર્યું છે, જેથી ઉત્તર કોરિયા અને ચીન તરફથી મળતા દરિયાઈ પડકારોનો સામનો કરી શકાય.

