Tamilnadu news: AIADMKના બે ટુકડા! બળવાખોર નેતાઓએ વિજયને સમર્થન આપ્યું

તમિલનાડુના રાજકારણમાં એક બાદ એક મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતાના નિધન બાદ જે ડર હતો તે આખરે સાચો સાબિત થયો છે. AIADMKમાં ગાબડું પડ્યું છે અને પાર્ટીના દિગ્ગજ નેતાઓ એસ.પી. વેલુમણી અને સી.વી. શણમુગમની આગેવાનીમાં એક મોટું જૂથ મુખ્યમંત્રી વિજયની સરકારમાં જોડાવા જઈ રહ્યું છે. સૌથી કરુણતા એ છે કે, આ ઘટનાક્રમ એવા દિવસે બન્યો છે જ્યારે પાર્ટી ચીફ EPS પોતાનો 72મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.
AIADMKના બે ટુકડા! બળવાખોર નેતાઓએ વિજયને સમર્થન આપ્યું
આ વિભાજન પાછળ લોટરી કિંગ સેન્ટિયાગો માર્ટિનના પત્ની લીમા રોઝ માર્ટિનની ભૂમિકા અત્યંત મહત્વની હોવાનું મનાય છે. તેમના જમાઈ આદવ અર્જુન પહેલેથી જ CM વિજયના નજીકના સાથી અને તેમની કેબિનેટમાં મંત્રી છે. લીમા રોઝે જ સૌપ્રથમ AIADMK અને TVK વચ્ચે વાતચીત ચાલી રહી હોવાનો સંકેત આપ્યો હતો, જે હવે વાસ્તવિકતા બની રહ્યો છે. પાર્ટીમાં ચાલી રહેલા આ આંતરિક વિદ્રોહ બાદ હવે EPS પાસે બહુ ઓછા સાંસદો અને ધારાસભ્યો બચ્યા છે. વિરોધી જૂથનો દાવો છે કે ધીમે ધીમે બાકીના ધારાસભ્યો પણ તેમની સાથે આવી જશે.
બળવાખોર નેતાઓ: એસ.પી. વેલુમણી અને સી.વી. શણમુગમ
EPSની પડખે: આર.બી. ઉધયકુમાર, ઓ.એસ. મણિયન અને કે.પી. મુનુસામી જેવા ગણતરીના નેતાઓ.
નિષ્ણાતોના મતે, આ વખતે વિભાજન જ્ઞાતિના સમીકરણો પર નહીં, પરંતુ 'સત્તામાં ભાગીદારી' માટે થયું છે.
AIADMKના બળવાખોર નેતા સી.વી. શણમુગમની આગેવાનીમાં ઓછામાં ઓછા 30 ધારાસભ્યોએ મંગળવારે મુખ્યમંત્રી વિજયની પાર્ટી TVKના નેતૃત્વવાળા ગઠબંધનને સમર્થન જાહેર કર્યું છે. જોકે, શણમુગમે દાવો કર્યો છે કે તેમનો ઈરાદો AIADMKને તોડવાનો નથી, પરંતુ જનતાના જનાદેશને માન આપવાનો છે.
શણમુગમનો ચોંકાવનારો દાવો: પલાનીસ્વામી પોતે CM બનવા માંગતા હતા
શણમુગમે એક ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે, પલાનીસ્વામી TVK ગઠબંધનને ટક્કર આપવા માટે DMK સાથે જોડાણ કરવા વિચારી રહ્યા હતા અને પોતે તે બ્લોકના મુખ્યમંત્રી બનવા માંગતા હતા. મોટાભાગના ધારાસભ્યોને આ દરખાસ્ત મંજૂર નહોતી. હવે એસ.પી. વેલુમણીને વિધાયક દળના નેતા અને જી. હરિને ડેપ્યુટી લીડર તરીકે ચૂંટવામાં આવ્યા છે.

