કેરલમમાં પ્રચંડ જીતના 8 દિવસ બાદ પણ CM પદ પર સસ્પેન્સ, હાઈકમાન્ડ દ્વારા મંથન યથાવત

કેરલમ વિધાનસભા ચૂંટણીમાં 140માંથી 102 બેઠકો જીતીને ઈતિહાસ રચનારા કોંગ્રેસ નેતૃત્વ હેઠળના UDF ગઠબંધનમાં અત્યારે 'કેપ્ટન' વગરની સ્થિતિ છે. પરિણામોના આઠ દિવસ વીતી જવા છતાં હજુ સુધી મુખ્યમંત્રીના નામની સત્તાવાર જાહેરાત થઈ નથી. દિલ્હીના સત્તાના ગલિયારાઓમાં અત્યારે કેરલમના આગામી મુખ્યમંત્રીને લઈને હાઈકમાન્ડ દ્વારા મંથન ચાલી રહ્યું છે.
CM પદની રેસમાં આ 3 દિગ્ગજો
કે.સી. વેણુગોપાલ
AICC જનરલ સેક્રેટરી અને રાહુલ ગાંધીના વિશ્વાસુ વેણુગોપાલ અત્યારે રેસમાં સૌથી આગળ છે. કોંગ્રેસના 63 માંથી મોટાભાગના ધારાસભ્યોનું તેમને સમર્થન હોવાનું મનાય છે. જોકે, તેઓ વર્તમાન સાંસદ હોવાથી તેમને રાજ્યમાં લાવવા સામે કાર્યકરોમાં ક્યાંક રોષ પણ છે.
વી.ડી. સતીશન
વિરોધ પક્ષના નેતા તરીકે વિજયન સરકારને પાંચ વર્ષ સુધી ભીંસમાં રાખનાર સતીશન પ્રત્યે કાર્યકરોમાં ભારે સહાનુભૂતિ છે. પાયાના કાર્યકરો માને છે કે આ જીતના અસલી હકદાર સતીશન છે.
રમેશ ચેન્નીથલા
અનુભવી નેતા અને ભૂતપૂર્વ વિરોધ પક્ષના નેતા ચેન્નીથલા પણ પોતાની વહીવટી કુશળતાના આધારે મજબૂત દાવેદાર છે.
દિલ્હીમાં બેઠકોનો દોર
મંગળવારે હાઈકમાન્ડે કેરલમના વરિષ્ઠ નેતા તિરુવંચૂર રાધાકૃષ્ણનને દિલ્હી તેડું મોકલ્યું હતું. રાધાકૃષ્ણનના મતે હવે નિર્ણય લેવામાં વધુ સમય લાગશે નહીં.

