'ધારાવીની 'સૂરત' બદલાઈને રહેશે', પુનર્વિકાસ પ્રોજેક્ટ અટકાવવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

સુપ્રીમ કોર્ટે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું બાંધકામ કાર્ય રોકવાનો ઇનકાર કર્યો છે. ઉપરાંત તેમણે બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે અદાણી ગ્રુપની દલીલ સ્વીકારી અને કહ્યું કે ધારાવી પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ ગયું છે. સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના તે આદેશ સામેની અપીલ પર સુનાવણી કરી. જેમાં સેકલિંક ટેક્નોલોજીસ કોર્પોરેશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેવામાં આવી હતી.
CJI બેન્ચે સ્ટે આપવાનો ઇનકાર કર્યો
આ અરજીમાં રાજ્ય સરકાર દ્વારા ધારાવી રિડેવલપમેન્ટને અદાણી પ્રોપર્ટીઝ લિમિટેડને આપવાના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. મે 2025માં આ મામલાની સુનાવણી થશે. આ સમય દરમિયાન અરજદારે હાલ માટે યથાસ્થિતિ જાળવી રાખવાની માંગ કરી હતી, પરંતુ CJI સંજીવ ખન્નાની બેન્ચે તેને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું કે ત્યાં કામ શરૂ થઈ ગયું છે અને કેટલાક રેલ્વે ક્વાર્ટર્સ તોડી પણ પાડવામાં આવ્યા છે.
અદાણી ગ્રુપે કોર્ટમાં શું કહ્યું?
જોકે, બેન્ચે કહ્યું છે કે અદાણી ગ્રુપ તમામ ચૂકવણી એક જ એસ્ક્રો એકાઉન્ટમાંથી કરશે. CJI એ મૌખિક રીતે કહ્યું કે, અમે હાઈકોર્ટ સાથે સંમત છીએ કારણ કે એવું લાગ્યું હતું કે, રેલ્વે લાઇનનો પણ વિકાસ કરવામાં આવશે અને તેને કોન્ટ્રાક્ટમાં સમાવવામાં આવશે. અદાણી ગ્રુપ વતી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે, કામ શરૂ થઈ ગયું છે, કરોડોના મશીનો અને સાધનો પહેલેથી જ લગાવી દેવામાં આવ્યા છે. લગભગ 2000 લોકો કાર્યરત છે. જો રોક લગાવવામાં આવશે તો ભરપાઈ ન થઈ શકે તેવું, બદલી ન શકાય તેવું નુકસાન થશે. સુપ્રીમ કોર્ટે અરજી પર મહારાષ્ટ્ર સરકારને નોટિસ ફટકારી છે.
ફેબ્રુઆરીમાં ૫૩,૦૦૦ ઘરોનો સર્વે પૂર્ણ થયો
એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી તરીકે ઓળખાતા મુંબઈના ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે. જેના કારણે આ ઝૂંપડપટ્ટીનો ચહેરો સંપૂર્ણપણે બદલાઈ જશે. ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટમાં 53,000થી વધુ ઘરોનો ડોર-ટુ-ડોર સર્વે પૂર્ણ કરીને એક મોટી ઉપલપ્ધિ હાંસલ કરી છે. જે મુંબઈ સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી SRAના ઇતિહાસમાં સૌથી વધુ છે.

