ઝી ગ્રૂપના સ્થાપક અને પૂર્વ રાજ્યસભા સાંસદ સુભાષ ચંદ્રા સામે ચાલી રહેલા પર્સનલ ઇન્સોલ્વન્સી કેસમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT ની 5 સભ્યોની વિશેષ બેન્ચે મહત્વનો વચગાળાનો આદેશ આપ્યો છે. NCLTની વિશેષ બેન્ચે અગાઉની નાની બેન્ચ દ્વારા 25 ઓગસ્ટના રોજ આપવામાં આવેલા ચુકાદાના અમલ પર તાત્કાલિક સ્ટે મૂકી દીધો છે.આ ઉપરાંત, ટ્રિબ્યુનલે સુભાષ ચંદ્રા પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાની કોઈપણ પ્રકારની સંપત્તિ/મિલકત વેચવા કે અન્ય કોઈના નામે ટ્રાન્સફર કરવા પર કડક મનાઈહુકમ ફરમાવ્યો છે.
કેસની નવેસરથી સુનાવણી થશે: તમામ પક્ષકારોને નોટિસ
NCLTના પ્રેસિડેન્ટ જસ્ટિસ (રિટાયર્ડ) અનુપિન્દર સિંહ ગ્રેવાલના વડપણ હેઠળની 5 સભ્યોની વિશેષ બેન્ચે જણાવ્યું કે અગાઉના ચુકાદામાં ટ્રિબ્યુનલના સભ્યો વચ્ચે કોઈ સ્પષ્ટ બહુમતી View) મળતી નથી. આ કારણોસર આ સમગ્ર કેસની હવે નવેસરથી સુનાવણી હાથ ધરવામાં આવશે. કેસ સાથે સંકળાયેલા ધિરાણકર્તાઓ, બેન્કો અને પક્ષકારોને સત્તાવાર નોટિસ પાઠવવામાં આવી છે. જ્યાં સુધી અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી 25 ઓગસ્ટના આદેશનો અમલ કરી શકાશે નહીં.
શું છે સમગ્ર વિવાદ?
આ વિવાદ ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડની કલમ 95 હેઠળ શરૂ કરાયેલી કાર્યવાહી સંબંધિત છે. સુભાષ ચંદ્રાએ મંજૂર થયેલા ₹22,006.57 કરોડના દાવા સામે માત્ર ₹6.25 કરોડ ચૂકવવાનો અને ઇન્સોલ્વન્સી પ્રક્રિયાના ખર્ચ માટે ₹25 લાખ ફાળવવાનો રિપેમેન્ટ પ્લાન રજૂ કર્યો હતો.
શા માટે લેણદારો પ્લાનનો વિરોધ કરી રહ્યા છે?
-
મંજૂર કરાયેલા કુલ દાવા સામે ચૂકવા પાત્ર રકમ દાવાના માત્ર 0.03% જેટલી જ છે.
-
રૂ. 22,000 કરોડથી વધુના લેણાં સામે માત્ર રૂ. 6.25 કરોડ મળતા હોવાથી બેંકોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.
મારું વ્યક્તિગત દેવું 0 છે: સુભાષ ચંદ્રાનો દાવો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સુભાષ ચંદ્રાએ દાવો કર્યો હતો કે તેમણે પોતે સીધી રીતે કોઈ લોન લીધી નથી. તેમણે કહ્યું કે, મેં બેન્કો કે નાણાકીય સંસ્થાઓ પાસેથી વ્યક્તિગત રીતે કોઈ પૈસા ઉધાર લીધા નથી. મારું અંગત દેવું 0 છે. મેં માત્ર કંપનીઓ દ્વારા લેવાયેલી લોન પર પર્સનલ ગેરંટી આપી હતી. ₹22,006.57 કરોડના આંકડાને કારણે મારા વિશે ખોટી છાપ ઊભી કરવામાં આવી છે. લેણદારોએ બાકી રકમનો હિસાબ-કિતાબ સીધો લોન લેનારી કંપનીઓ સાથે કરવો જોઈએ.
NCLTની 5 સભ્યોની વિશેષ બેન્ચ
કેસની ગંભીરતા અને કાનૂની વિરોધાભાસને ઉકેલવા માટે NCLT પ્રેસિડેન્ટે નીચે મુજબના 5 સભ્યોની વિશેષ બેન્ચની રચના કરી છે.
-
જસ્ટિસ (નિવૃત્ત) અનુપિન્દર સિંહ ગ્રેવાલ — પ્રેસિડેન્ટ, NCLT
-
બચુ વેંકટ બલરામ દાસ — જ્યુડિશિયલ મેમ્બર
-
મહેન્દ્ર ખંડેલવાલ — જ્યુડિશિયલ મેમ્બર
-
અતુલ ચતુર્વેદી — ટેકનિકલ મેમ્બર
-
રવિન્દ્ર ચતુર્વેદી — ટેકનિકલ મેમ્બર
હવે આ વિશેષ બેન્ચ સુભાષ ચંદ્રાના રિપેમેન્ટ પ્લાનની કાયદેસરતા અને ધિરાણકર્તાઓની વાંધા અરજીઓ પર નવેસરથી દલીલો સાંભળીને આદેશ આપશે.