ડોક્ટરો પર હુમલાના કેસમાં શિવસેનાની મોટી કાર્યવાહી: ધારાસભ્યના પુત્ર સહિત 7 નેતાઓ પક્ષમાંથી સસ્પેન્ડ

પાલઘરની રીલિઝ હોસ્પિટલમાં તબીબો તથા સ્ટાફ પર હુમલા બાબતે અગાઉ મુખ્ય આરોપી શિવસેના શહેર પ્રમુખ રાહુલ ઘરતને સસ્પેન્ડ કરાયા બાદ હવે હવે પાર્ટીએ વધુ છ પદાધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. મંગળવારે પાર્ટી દ્વારા કુલ સાત પદાધિકારીઓને સસ્પેન્ડ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
ગયા શનિવારે પાલઘરની રીલિઝ હોસ્પિટલમાં જખમી ગોવિંદાની સારવારને લઈને વિવાદ સર્જાયો હતો. આ દરમિયાન શિવસેનાના કેટલાક કાર્યકરો હોસ્પિટલમાં ઘૂસી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. આ ઘટનામાં હોસ્પિટલના એક સ્ટાફ સભ્ય સાથે મારપીટ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા અને રોષ જોવા મળ્યો હતો.
સસ્પેન્ડ થયેલા પદાધિકારીઓમાં જિલ્લા પ્રમુખ કુંદન સંખે, ઉપ-તાલુકા પ્રમુખ મનીષ સંખે, જિલ્લા યુવા સેના પ્રમુખ સાઈરાજ પાટિલ, ધારાસભ્ય રાજેન્દ્ર ગાવિતના પુત્ર તથા ઉપ-તાલુકા પ્રમુખ રોહિત ગાવિત, ઉપ-તાલુકા પ્રમુખ રાહુલ સંખે અને યુવા સેના વિધાનસભા પ્રમુખ હૃષિકેશ વારેનો સમાવેશ છે.
શિવસેનાના સચિવ સંજય મોરેએ મંગળવારે પત્ર જાહેર કરીને જણાવ્યું હતું કે, બેજવાબદાર વર્તન અને પાર્ટીની શિસ્તનો ભંગ કરવા બદલ પાર્ટી નેતા એકનાથ શિંદેના આદેશથી આ સાતેય પદાધિકારીઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં બનેલી ઘટનાને ગંભીરતાથી લઈને પાર્ટીએ શિસ્તભંગ સામે કડક વલણ અપનાવ્યું છે.

