શરદ પવારનું INDIA બ્લોકની રચના અંગે નિવેદન, જાણો શું કહ્યું

વિપક્ષી ગઠબંધન 'INDIA'માં ભાગલા અને તેના વિસર્જન થયાની અટકળો તેજ બની છે. શિવસેના UBT અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે બાદ NCP(SP) અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે, 'પાર્ટી, મુંબઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એકલા લડી શકે છે.'
મુંબઈમાં મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, 'INDIA બ્લોકની રચના માત્ર રાષ્ટ્રીય સ્તરની ચૂંટણી માટે કરાયું હતું અને નગરપાલિકા અને રાજ્ય ચૂંટણી એક સાથે લડવા અંગે કોઈ ચર્ચા થઈ નથી.'
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મળેલી કરારી હાર બાદ મહારાષ્ટ્રના મહા વિકાસ અઘાડી (MVA)માં ડખા નજરે પડી રહ્યા છે. હારને લઈને કોંગ્રેસ, શિવસેના UBT અને NCP(SP)ના નેતાઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપની રમત ચાલી રહી છે. શિવસેના UBTનું એક જૂથ ઉદ્ધવ ઠાકરે પાસે MVA સાથે છેડો ફાડવાની વાત કરી રહ્યું છે.
આ પણ વાંચો : બિહારમાં ખીચડીને લઈને ફરી રાજકારણ ગરમાયું, કેન્દ્રીય મંત્રી મોડા પડતાં નીતિશ કુમાર રાહ જોઈ થયા રવાના
આગામી કેટલાક દિવસોમાં નિર્ણય લેશે પાર્ટી: શરદ પવાર
શરદ પવારે કહ્યું કે, 'જ્યારે INDIAની રચના થઈ હતી, ત્યારે માત્ર રાષ્ટ્રીય મુદ્દાઓ અને દેશની ચૂંટણીઓ પર ચર્ચા થઈ હતી. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ અથવા રાજ્ય ચૂંટણીઓને લઈને કોઈ વાતચીત થઈ નથી. 8-10 દિવસમાં પાર્ટીની બેઠકમાં નક્કી કરવામાં આવશે કે શું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાર્ટી એકલી લડશે કે નહીં.'
આપણે કેજરીવાલની મદદ કરવી જોઈએ: શરદ પવાર
NCP (SP) પ્રમુખ શરદ પવારે દિલ્હી ચૂંટણીઓ પર પણ વાત કરી. તેમણે આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપ અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું.
પવારે સૂચન કર્યું કે, 'તેમની પાર્ટીને ચૂંટણી રેસમાં કેજરીવાલની મદદ કરવી જોઈએ, જેનાથી બંને નેતાઓ વચ્ચે સંભવિત રાજકીય સહયોગનો સંકેત મળે છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મારી ભાવના છે કે, આપણે અરવિંદ કેજરીવાલની મદદ કરવી જોઈએ.'
જણાવી દઈએ કે, દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ તરફથી આમ આદમી પાર્ટી પર પ્રહાર કરાઈ રહ્યા છે.

