નવી કોર્ટો બનાવી કેસોનો નિકાલ કરો નહીં તો અમે આરોપીઓને જામીન આપીશું, સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી

સુપ્રીમ કોર્ટે શુક્રવારે 18મી જુલાઈએ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા તપાસ કરાયેલા આતંકવાદ અને જઘન્ય ગુનાઓ સંબંધિત કેસોમાં સુનાવણીમાં વિલંબ પર કડક વલણ અપનાવ્યું. કોર્ટે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી કેસ માટે હાલની અદાલતોને વિશેષ અદાલતો તરીકે નિયુક્ત કરવાની પ્રથાને અસ્વીકાર્ય ગણાવી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારોને સપ્ટેમ્બર સુધીમાં નવી વિશેષ NIA અદાલતો સ્થાપવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. કોર્ટે કહ્યું કે, 'જો આ નિર્દેશનું પાલન નહીં કરવામાં આવે તો તે સુનાવણીમાં વિલંબના આધારે આ આરોપીઓને જામીન આપવાનું વિચારશે.'
જાણો શું છે મામલો
સુપ્રીમ કોર્ટ કહ્યું કે, 'સિવિલ અને ફોજદારી કેસોની સુનાવણી કરતી હાલની અદાલતોને વિશેષ NIA અદાલતો તરીકે નિયુક્ત કરવી અસ્વીકાર્ય છે. કોર્ટે કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્ર સરકારને 30મી સપ્ટેમ્બર સુધીમાં આ કેસની સુનાવણી માટે ખાસ નવી અદાલતોની રચના કરવાની છેલ્લી તક આપી છે.'
અહેવાલો અનુસાર, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીની બેન્ચે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી એડિશનલ સોલિસિટર જનરલ રાજકુમાર બી. ઠાકરેને કહ્યું, 'તમે હાલની અદાલતો પર વધારાનો બોજ ન નાખી શકો. જો તમે ખરેખર NIA દ્વારા તપાસ કરાયેલા કેસોની ઝડપી સુનાવણી ઇચ્છતા હો, તો નવી અદાલતો બનાવવી પડશે, વરિષ્ઠ ન્યાયિક અધિકારીઓની નિમણૂક કરવી પડશે અને તેમને પૂરતો સ્ટાફ અને પર્યાપ્ત માળખાકીય સુવિધા પૂરી પાડવી પડશે. જો સરકારો આમ કરવામાં નિષ્ફળ જાય, તો કોર્ટને ટ્રાયલમાં વિલંબના આધારે આરોપીઓને જામીન આપવાની ફરજ પડશે.'
ટ્રાયલ વિના શખ્સ છ વર્ષ સુધી જેલમાં બંધ
આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે વરિષ્ઠ વકીલ ત્રિદીપ પાઈસે તેમના અસીલ કૈલાશ રામચંદાની વતી દલીલ કરી કે 'NIA દ્વારા કૈલાશ રામચંદા UAPA હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને તે છેલ્લા છ વર્ષથી જેલમાં છે, પરંતુ તેમની ટ્રાયલ શરૂ થઈ નથી. કારણ એ છે કે સ્પેશિયલ કોર્ટમાં કામ કરતા ન્યાયિક અધિકારી પાસે આ કેસો માટે સમય નથી.'

