VIDEO: વૈશાલી બ્રિજ નિર્માણની ગુણવત્તા પર ઉઠ્યા ગંભીર સવાલો: દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ સાથે ચિરાગ પાસવાનની ચેતવણી
બિહારના વૈશાલી જિલ્લામાં બ્રિજ લોન્ચર ધરાશાયી થવાની ઘટનાને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. આ દુર્ઘટના અંગે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને અત્યંત આક્રમક વલણ અપનાવતા સરકાર અને તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, આ પ્રકારની ઘટનાઓ માત્ર સરકાર માટે ચિંતાનો વિષય નથી, પરંતુ તેનાથી સરકારની ફજેતી થાય છે અને નિર્માણ કાર્યની ગુણવત્તા સામે અનેક સવાલો ખડા થાય છે.
મીડિયા સાથે વાતચીત કરતાં ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે, "આવી ઘટનાઓ ચોક્કસપણે સરકાર માટે ચિંતાનું કારણ બને છે; વારંવાર આવા બનાવો માત્ર આપણને શરમમાં જ નથી મૂકતા, પરંતુ ગુણવત્તાને લઈને અનેક ગંભીર પ્રશ્નો પણ ઊભા કરે છે."
તેમણે આગળ કડક ચેતવણી આપતા કહ્યું કે જો આવા બનાવો સતત બનતા રહેશે તો માત્ર જવાબદારો સામે જ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે, પરંતુ તેઓ ખુદ આ મામલે મુખ્યમંત્રી સાથે વાતચીત કરશે. ચિરાગ પાસવાને જણાવ્યું કે તેઓ સુનિશ્ચિત કરશે કે આવા તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની ગુણવત્તાની સમયાંતરે યોગ્ય તપાસ થાય, જેથી જનતાના નાણાં અને સલામતી સાથે કોઈ ચેડા ન કરી શકે.

