'વંદે માતરમ્'ના ટુકડા કરીને દેશના ભાગલાના બીજ રોપ્યા, પીએમ મોદીએ નહેરુ પર કર્યા પ્રહાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપણા રાષ્ટ્ર ગીત વંદે માતરમ પર ટિપ્પણી કરતાં કહ્યું છે કે, 1937માં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે તેના બે ટુકડા કરી દેવામાં આવ્યા હતા. વંદે માતરમનું આ વિભાજને દેશમાં ભાગલાના બીજ રોપ્યા છે. આજે શુક્રવારે 7 નવેમ્બર, 2025ના રોજ વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ થવા પર આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું કે, વંદે માતરમ સાથે જોડાયેલા એક મહત્ત્વના મુદ્દા પર ચર્ચા કરી છે. આઝાદીની લડાઈમાં વંદે માતરમની ભાવનાને આખા દેશમાં રજૂ કરવામાં આવી હતી. પરંતુ દુર્ભાગ્યવશ 1937માં વંદે માતરમના મહત્ત્વપૂર્ણ પદ- તેની આત્માના એક હિસ્સાને અલગ કરી દેવામાં આવ્યો હતો.
ભાગલાના બીજ રોપ્યા
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 1937માં વંદે માતરમ ગીતને તોડીને રજૂ કરવામાં આવ્યું હતું. તેના ટુકડાં કરી દેવામાં આવ્યા. તેના વિભાજને દેશમાં ભાગલાના બીજ રોપ્યા હતા. રાષ્ટ્ર-નિર્માણના આ મહામંત્રની સાથે આ અન્યાય કેમ થયો? તે આજની પેઢીએ જાણવો જરૂરી છે. કારણકે, ભાગલાવાદી વિચારસરણી આજે પણ દેશ માટે મોટો પડકાર છે.
રાષ્ટ્રગીતને ધર્મ સાથે જોડી મહાપાપ કર્યું
ભાજપના નેતા અમિત માલવિયાએ આ મામલે પંડિત નેહરુનો ઉલ્લેખ કર્યો છે. અમિત માલવિયાએ કહ્યું કે આપણી નવી પેઢી માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે કેવી રીતે પંડિત નેહરુના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ પાર્ટીએ પોતાના ધાર્મિક એજન્ડાને પ્રોત્સાહન આપ્યું અને 1937ના ફૈજપુર સંમેલનમાં 'વંદે માતરમ'ના ટુકડા કરેલા સંસ્કરણને પાર્ટીનું રાષ્ટ્રગીત બનાવ્યું. અમિત માલવિયાએ કહ્યું કે બ્રિટિશ સરકારે 'વંદે માતરમ'ના ઉચ્ચારણને પણ ભ્રષ્ટ કર્યું હતું, કારણ કે આ ગીત લોકોને સ્વતંત્રતા માટે એક કરી રહ્યું હતું. આ ગીતનો કોઈ ધર્મ કે ભાષા સાથે કોઈ સંબંધ નહોતો, પરંતુ કોંગ્રેસે તેને ધર્મ સાથે જોડીને ઐતિહાસિક પાપ કર્યું.
અમિત માલવિયાએ કહ્યું, 'નેહરુના નેતૃત્વ હેઠળ, કોંગ્રેસે ધાર્મિક કારણોસર 'વંદે માતરમ' માંથી દેવી દુર્ગાની પ્રશંસા કરતી પંક્તિઓ જાણી જોઈને કાઢી નાખી. 1 સપ્ટેમ્બર, 1937 ના રોજ લખેલા પત્રમાં, નેહરુએ લખ્યું હતું કે 'વંદે માતરમ' માં દેવીનો કોઈપણ ઉલ્લેખ ઉમેરવો એ મૂર્ખામીભર્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ પંક્તિના કારણે આ ગીત રાષ્ટ્રગીત તરીકે અયોગ્ય છે.
ભાજપ નેતા અમિત માલવિયાએ કહ્યું કે નેતાજી સુભાષચંદ્ર બોઝે 'વંદે માતરમ' ના સંપૂર્ણ સંસ્કરણના સમર્થનમાં જોરદાર દલીલ કરી હતી. જોકે, 20 ઓક્ટોબર, 1937 ના રોજ, નેહરુએ નેતાજીને પત્ર લખીને જણાવ્યું હતું કે 'વંદે માતરમ' ની પૃષ્ઠભૂમિ મુસ્લિમોને નારાજ કરી શકે છે.
આ પંક્તિઓને દૂર કરવામાં આવી
કોટિ-કોટિ-કંથ-કલ-કલ-નિનાદ-કરાલે
ન બોલે મા તુમિ અબલે
બહુબલધારિળીં નામામિ તારિણીમ
રિપુદલવારિણીમ માતરમ્
વંદે માતરમ્
તુમિ વિદ્યા, તુમિ ધર્મ તુમિ ર્હદિ, તુમિ મર્મ
ત્વં હિ પ્રાણાઃ શરીરે બાહુતે તુમિ મા શક્તિ
હૃદયે તુમિ મા ભક્તિ, તોમારઈ પ્રતિમા ગડિ મન્દિરે-મન્દિરે
વંદે માતરમ્
ત્વં હિ દુર્ગા દશપ્રહરણધારિણી
કમલા કમલદલવિહારિણી
વાણી વિદ્યાદાયિની નામામિ ત્વામ્
નમામિ કમલામ
અમલામ અતુલામ
સુજલાં સુફલાં માતરમ્
વંદે માતરમ્
વર્તમાન રાષ્ટ્રગીત
વંદે માતરમ્, વંદે માતરમ્!
સુજલામ, સુફલામ, મલયજ શીતલમ,
સસ્યશ્યામલામ, માતરમ્!
વંદે માતરમ્!
શુભ્રજ્યોત્સનામ પુલકિત્યામિનિમ
ફુલકુમસુમિત દ્રુમદલ શોભિનિમ
સુહાસિનિમ, સુમધુર ભાષિણીમ,
સુખદામ વરદામ, માતરમ્!
વંદે માતરમ, વંદે માતરમ્ ॥
રાષ્ટ્રને મા માનનારાનો વિચાર વિચલિત થઈ શકે! પીએમ મોદી
વંદે માતરમની રાષ્ટ્રગીત તરીકેની યાત્રા યાદ કરતા પીએમ મોદીએ કહ્યું કે, જે લોકો રાષ્ટ્રને ભૂ-રાજકીય અસ્તિત્વ માને છે, તેમના માટે રાષ્ટ્રને માતા માનવાનો વિચાર આશ્ચર્યજનક હોઈ શકે છે. પરંતુ ભારત અલગ છે. ભારતમાં મા જનની અને પાલનપોષણ કરનારી બંને છે. અને જો કોઈ બાળક સંકટનો સામનો કરે છે, તો મા "સંહાર" કરનારી પણ છે.
આગળ પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે બંકિમ બાબુએ 1875માં 'બંગ દર્શન' માં 'વંદે માતરમ્' પ્રકાશિત કર્યું, ત્યારે કેટલાક લોકોએ તેને ફક્ત એક ગીત માન્યું. પરંતુ ટૂંક સમયમાં, 'વંદે માતરમ્' ભારતના સ્વતંત્રતા સંગ્રામનો અવાજ બની ગયો. એક એવો અવાજ જે દરેક ક્રાંતિકારીના મોઢે હતો, જે દરેક ભારતીયની લાગણીઓને વ્યક્ત કરી રહ્યો હતો.

