જમ્મુ કાશ્મીર/ સોપોરમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર માર્યા, એક જવાન ઘાયલ

જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લામાં આતંકવાદી અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ થઇ ગઇ છે. સુરક્ષાદળોએ અથડામણમાં બે આતંકીઓને ઠાર માર્યા છે. બુધવાર સવારે બારામુલા જિલ્લાના વોટરગામ વિસ્તારમાં સુરક્ષાદળોને આતંકીઓ હોવાની જાણ થતા તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
સુરક્ષાદળોએ સવારથી જ હાદીપોરામાં આતંકીઓ સંતાયા હોવાની સૂચનાના આધાર પર તપાસ અભિયાન ચલાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કર્યો હતો. તે બાદ બન્ને વચ્ચે ભીષણ અથડામણ શરૂ થઇ હતી. અથડામણમાં બે આતંકીને ઠાર મારવામાં આવ્યા છે જ્યારે એક સુરક્ષાકર્મી ઘાયલ થયો હતો.
હાદીપોરામાં જોવા મળ્યા હતા આતંકી
મહત્ત્વપૂર્ણ છે કે આતંકી હુમલા બાદ ઉત્તર કાશ્મીરના બારામુલાના હાદીપોરામાં શંકાસ્પદ જોવા મળ્યા હતા. આતંકીઓ સંતાયા હોવાની સૂચનાના આધાર પર સુરક્ષાદળોએ તપાસ અભિયાન ચલાવ્યું હતું. તંત્રએ વિસ્તારમાં આતંકીઓ સંતાયા હોવાની સંભાવનાને જોતા ડિગ્રી કોલેજને સાવચેતીના ભાગ રૂપે બંધ કરી દીધી હતી.
બાંદીપોરામાં એક આતંકી ઠાર
આ પહેલા જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યું હતું. તે બાદ સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઇ ગઇ હતી.

