VIDEO: 'જેમને કૂતરાય નથી પૂછતા અને ભાડે રાખેલા ટટ્ટુ', CM ફડણવીસની ભાષા પર સંજય રાઉતનો પલટવાર
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર કરોડોના ખર્ચે બની રહેલા મહત્વકાંક્ષી 'મિસિંગ લિંક પ્રોજેક્ટ' (Missing Link Project) રોડ પર બે દિવસ પહેલાં થયેલા ભૂસ્ખલનને (Landslide) કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. 7 હજાર કરોડ રૂપિયાના ભારે-ભરખમ બજેટથી તૈયાર થઈ રહેલા આ પ્રોજેક્ટમાં (Project) પહેલી જ કણિયાર વરસાદમાં ટેકનિકલ ખામી સામે આવતા વિરોધ પક્ષે સરકારને કટોકટીમાં મૂકી દીધી છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ટ્રોલિંગ (Trolling) અને ટીકાઓથી નારાજ થઈને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (CM Devendra Fadnavis) વિરોધીઓ પર એક આક્રમક ટિપ્પણી કરી હતી, જેના પર હવે શિવસેના (UBT) ના સાંસદ સંજય રાઉતનો (Sanjay Raut) ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે.
આ શિવાજી મહારાજનું મહારાષ્ટ્ર છે, કોઈ સુલતાનનું સામ્રાજ્ય નથી
હકીકતમાં, પ્રોજેક્ટની ટીકાઓથી ગુસ્સે થયેલા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, "આવા લોકો કદાચ એક કરોડ જૂઠ્ઠા લોકોના મર્યા પછી જન્મ્યા હશે." આ સાથે જ તેમણે ટીકાકારો માટે 'ભાડે કે ટટ્ટૂ' (કિરાયે કે ઘોડે) અને 'જિનકો કુત્તા નહીં પૂછતા' જેવા આકરા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ નિવેદન પર પલટવાર કરતા સાંસદ સંજય રાઉતે કહ્યું કે, "જનતાના ટેક્સના (Tax) પૈસા બગડે અને જ્યારે લોકો અખબાર, ટીવી કે સોશિયલ મીડિયા (Social Media) પર સવાલ ઉઠાવે, તો રાજ્યના મુખ્યમંત્રી તેમને આવા શબ્દો કહે? આવો ઘોર અનાદર માત્ર કોઈ ક્રૂર સુલતાનના શાસનમાં જ થઈ શકે. આ છત્રપતિ શિવાજી મહારાજ ની ધરતી છે, અહીં જનતાની મજાક ઉડાવનારા સુલતાનો અને તેમના નિઝામોને જનતા ક્યારેય માફ નહીં કરે."
દિલ્હીથી મહારાષ્ટ્રને બદનામ કરવાનું ષડયંત્ર
મુખ્યમંત્રીના એવા નિવેદન પર કે વિપક્ષ મહારાષ્ટ્રની ઈમેજને (Global Image) વૈશ્વિક સ્તરે બદનામ કરી રહ્યો છે, સંજય રાઉતે તીખો સવાલ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે જો મહારાષ્ટ્રને ખરેખર કોઈએ બદનામ કર્યું હોય તો તે અમિત શાહ, નરેન્દ્ર મોદી અને તેમના ઈશારે ચાલતા દેવેન્દ્ર ફડણવીસ છે. રાઉતે પૂછ્યું કે, "શું સાચું બોલવું એ બદનામી છે? શું આ રાજ્ય માટે શરમજનક નથી કે તમે 50 કરોડમાં ધારાસભ્યો અને સાંસદોને ખરીદીને અનૈતિક સરકાર (Government) બનાવી? શું માલવણમાં ભ્રષ્ટાચારના કારણે છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું તૂટી પડવું એ રાજ્યની માનહાનિ નહોતી?"
આરએસએસ (RSS) નો ઇતિહાસ વાંચવાની આપી સલાહ
સંજય રાઉતે મુખ્યમંત્રીની રાજકીય સ્થિતિ પર ટિપ્પણી કરતા તેમને સંપૂર્ણપણે હતાશ અને પરાજિત રાજનેતા ગણાવ્યા હતા. રાઉતે આરોપ લગાવ્યો કે જ્યારેથી ફડણવીસ મહારાષ્ટ્રની સત્તામાં પાછલા બારણેથી આવ્યા છે, તેઓ માત્ર કોન્ટ્રાક્ટરોના (Contractors) હિતોનું રક્ષણ કરવામાં લાગ્યા છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે આ અઘોષિત કટોકટી (Emergency) ટૂંક સમયમાં જ હટી જશે, કારણ કે પોતાને વિશ્વ ચેમ્પિયન સમજતા સરમુખત્યાર પણ આ સ્વાભિમાની ધરતી પર ટકી શક્યા નથી. રાઉતે ઉમેર્યું કે તેઓ ટૂંક સમયમાં જ ફડણવીસને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વાસ્તવિક ઇતિહાસનું એક પુસ્તક (Book) ભેટ આપશે જેથી તેઓ સાચો ઇતિહાસ જાણી શકે.

