'મહારાષ્ટ્રમાં શિવાજી પેદા થાય છે અને ગુજરાતમાં ઔરંગઝેબ....,' PM મોદીને લઈને સંજય રાઉતની જીભ લપસી

શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉત સ્ફોટક નિવેદનોથી ચર્ચામાં રહેતા હોય છે. ઘણી વખત તેમને આ અંગે વિવાદોનો સામનો કરવો પડ્યો છે. સંજય રાઉતે હાલમાં જ પીએમ મોદી વિશે વિવાદાસ્પદ નિવેદન આપતા તેમની સરખામણી ઔરંગઝેબ સાથે કરી છે. મહારાષ્ટ્રના બુલઢાણામાં યોજાયેલા એક કાર્યક્રમમાં સંજય રાઉતે કહ્યું કે ઔરંગઝેબનો જન્મ પીએમ નરેન્દ્ર મોદીના ગામ પાસે થયો હતો. એટલા માટે પીએમ મોદીની વિચારસરણી ઔરંગઝેબ જેવી છે. તેમણે કહ્યું કે આ વિચારસરણી હેઠળ મહારાષ્ટ્ર પર હુમલો કરવામાં આવી રહ્યો છે. સંજય રાઉતે પીએમ મોદી વિશે આ ટિપ્પણી કરી ત્યારે મંચ પર ઉદ્ધવ ઠાકરે પણ હાજર હતા.
રાજ ઠાકરેના ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે સંજય રાઉતે આ ટિપ્પણી કરી છે. રાજ ઠાકરેની અટકળોને લીધે ઉદ્ધવ ઠાકરે જૂથમાં ખળભળાટનો માહોલ છે. સંજય રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રમાં શિવાજી પેદા થાય છે અને ગુજરાતમાં ઔરંગઝેબનો જન્મ થાય છે. રાઉતે કહ્યું કે, 'નરેન્દ્ર મોદીનો જ્યાં જન્મ થયો તેની નજીક ઔરંગઝેબનો જન્મ થયો હતો. એટલા માટે ઔરંગઝેબની માનસિકતા સાથે આપણી ઉપર હુમલા થાય છે.
આ પહેલા પણ સંજય રાઉત અનેકવાર વિવાદાસ્પદ નિવેદન આપી ચુક્યા છે. એક ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે ઔરંગઝેબ ગુજરાતમાં પેદા થાય છે અને મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજનો જન્મ થાય છે. જણાવી દઈએ કે, 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાએ સાથે મળીને ચૂંટણી લડીને જીત મેળવી હતી.
એ પછીથી સીએમ પદ બાબતે બંને પક્ષો વચ્ચે મતભેદો ઉભા થયા અને ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ અને એનસીપી સાથે સરકાર બનાવી. પરંતુ જૂન 2022માં એકનાથ શિંદેના નેતૃત્વમાં 40 ધારાસભ્યોએ બળવો કર્યો. ત્યારબાદ શિંદે બીજેપીના સમર્થનથી સીએમ બન્યા હતા. આ રીતે ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી સત્તા પણ ગઈ અને શિવસેના પણ ગઈ.

