બેંગલુરૂ ભાગદોડ કેસમાં RCB જવાબદાર, કર્ણાટક સરકારે હાઇકોર્ટમાં રિપોર્ટ સબમિટ કર્યો

બેંગલુરૂમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB)ની જીતની ઉજવણી દરમિયાન ભાગદોડને લઇને કર્ણાટક સરકારે હાઇકોર્ટને પોતાનો રિપોર્ટ સોપ્યો છે. બેંગલુરૂમાં 4 જૂને RCBની વિક્ટરી પરેડ પહેલા આ ભાગદોડ થઇ હતી. સરકારે હાઇકોર્ટને જે રિપોર્ટ સોપ્યો છે તેમાં ગંભીર બેદરકારીનો ઉલ્લેખ છે.
આખી ઘટનામાં વિરાટ કોહલીનું નામ પણ સામે આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું ક વિરાટ કોહલીએ વીડિયોમાં ફેન્સને ફ્રીમાં વિક્ટરી પરેડમાં આવવાની અપીલ કરી હતી.
સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (CAT) એ 4 જૂને બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડ માટે RCB (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર)ને જવાબદાર ઠેરવ્યું હતું. RCB એ અચાનક પોલીસની પરવાનગી વિના સોશિયલ મીડિયા પર વિજય પરેડની જાહેરાત કરી હતી, જેના કારણે લાખોની ભીડ ઉમટી પડી હતી. ભાગદોડમાં 11 લોકોના મોત થયા હતા.
RCB ભાગદોડ કેસમાં સરકારે જે રિપોર્ટ સોપ્યો તેમાં શું છે?
બેંગલુરૂમાં RCBની જીતની ઉજવણી દરમિયાન ભાગદોડ મામલે કર્ણાટક સરકારે હાઇકોર્ટને રિપોર્ટ સોપ્યો છે જેમાં કેટલીક મોટી બેદરકારી અને અવ્યવસ્થાની વાત સામે આવી છે.
પરવાનગી વગર ઇવેન્ટ: ઇવેન્ટ આયોજક DNA NetWorks PVT.Ltdએ 3 જૂને પોલીસને માત્ર સૂચના આપી હતી પરંતુ 2009ના આદેશ અનુસાર જરૂરી પરવાનગી લીધી નહતી. આ કારણે પોલીસે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો.
RCBએ નજરઅંદાજ કર્યું: તેમ છતા RCBએ સોશિયલ મીડિયા પર 4 જૂને સાર્વજનિક રીતે ઇવેન્ટનો પ્રચાર કર્યો હતો. વિરાટ કોહલીએ વીડિયોમાં ફેન્સને મફતમાં આવવાની અપીલ કરી હતી.
ત્રણ લાખ કરતા વધુ ભીડ: ઇવેન્ટમાં આશા કરતા વધારે ભીડ ભેગી થઇ હતી જેને કારણે અવ્યવસ્થા સર્જાઇ હતી.
અંતિમ સમયે પાસની જાહેરાત: કાર્યક્રમ શરૂ થયા પહેલા બપોરે 3.14 કલાકે આયોજકોએ અચાનક જાહેરાત કરી કે સ્ટેડિયમમાં એન્ટ્રી માટે પાસ જરૂરી છે જેને કારણે લોકોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
ભીડ નિયંત્રણમાં ભારે ચૂક: RCB,DNA અને KSCA (કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન) વચ્ચે સમન્વયની ભારે કમી જોવા મળી હતી. ગેટ ખોલવામાં મોડું અને અવ્યવસ્થાને કારણે ભાગદોડ મચી હતી જેમાં 7 પોલીસ કર્મી પણ ઘાયલ થયા હતા.
ઘટના બાદ સીમિત કાર્યક્રમની પરવાનગી: સ્થિતિ ના બગડે માટે પોલીસે નાનો અને લિમિટેડ કાર્યક્રમની પરવાનગી આપી હતી.
કાર્યવાહી અને સજા: ઘટના બાદ મેજિસ્ટ્રેટ અને ન્યાયિક તપાસ શરૂ થઇ હતી, FIR નોંધાઇ, કેટલાક પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી થઇ. મુખ્યમંત્રીના રાજકીય સચિવને સસ્પેન્ડ કરવામાં આવ્યા, ઇન્ટેલિજન્સ ચીફની બદલી કરવામાં આવી અને ઘાયલોને વળતરની જાહેરાત કરવામાં આવી હતી.
મહત્ત્વપૂર્ણ છે કે 3 જૂને IPL 2025માં ચેમ્પિયન બન્યા બાદ RCBએ બેંગલુરૂમાં 4 જૂને પ્લાનિંગ વગર વિક્ટરી પરેડનું આયોજન કર્યું હતું. આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા હતા જ્યારે 47 લોકો ઘાયલ થયા હતા.

