બિહારમાં રેલ અકસ્માત: અવધ આસામ એક્સપ્રેસ ટ્રેન સાથે ટ્રોલી ટકરાઇ, એકનું મોત

બિહારના કટિહારમાં રેલ અકસ્માત થયો છે. કટિહાર બરૌની રેલ વિભાગ પર બરૌનીથી કટિહાર જતી અવધ આસામ એક્સપ્રેસ ટ્રેન (૧૫૯૧૦) અને કાધગોલા અને સેમાપુર વચ્ચે એક રેલ્વે ટ્રોલી વચ્ચે ટકરાઇ હતી. આ અકસ્માતમાં એક ટ્રોલીમેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ચાર રેલ્વે કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. એડીઆરએમ મનોજ કુમાર સિંહે ઘટનાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે ઘાયલોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
તમામ રેલ્વે કર્મચારીઓને ટ્રેક પર કામ કરતી વખતે મહત્તમ સાવધાની રાખવાની સૂચના આપવામાં આવી છે. અકસ્માતને કારણે, આ રૂટ પર ટ્રેન વ્યવહાર થોડા સમય માટે ખોરવાઈ ગયો હતો, જે પછીથી પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. હાલમાં, તમામ ઘાયલોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
કોંગ્રેસે સવાલ ઉઠાવતા X પર પોસ્ટ કરતા લખ્યુ, બિહારમાં ફરી એક રેલ દુર્ઘટના થઇ છે. કટિહારમાં અવધ-આસામ એક્સપ્રેસ એક ટ્રોલી સાથે ટકરાઇ જેમાં એક ટ્રોલીમેનનું મોત થયું અને કેટલાક મજૂર ગંભીર રીતે ઘાયલ છે. આ ઘણી ચિંતાની વાત છે કે મોદી સરકારમાં રેલ દુર્ઘટના રોકાવાનું નામ લેતી નથી. મુસાફર ડરના માહોલમાં મુસાફરી કરવા મજબૂર છે.
છેલ્લા એક વર્ષમાં 👇
• 98 રેલ દુર્ઘટના થઇ ચુકી છે.
• 26 લોકોએ જીવ ગુમાવ્ય છે.
• 171 લોકો ઘાયલ થયા છે.
દુર્ઘટના બની રહી છે, લોકો જીવ ગુમાવી રહ્યાં છે...પરંતુ વડાપ્રધાન અને રેલ મંત્રીને પોતાના PR સ્ટંટથી સમય જ નથી મળતો.
ના કોઇ જવાબદેહી છે અને ના તો કોઇ જવાબદારી.

