ઓમ બિરલાએ તોડ્યો રાહુલ ગાંધીનો 'ચક્રવ્યૂહ', સદનના રેકોર્ડ્સમાંથી આ શબ્દ હટાવ્યા

લોકસભામાં બજેટ સત્રના છઠ્ઠા દિવસે ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધી ફરી એક વખત આક્રમક જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી જ્યારે રાષ્ટ્રપતિના અભિભાષણ પર બોલ્યા હતા ત્યારે વિવાદ થયો હતો અને તેમના ભાષણના કેટલાક અંશ સદનની કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. હવે ફરી એક વખત જ્યારે તે 29 જુલાઇએ બોલ્યા તો વિવાદ બાદ સ્પીકરે તેમના ભાષણ પર ફરી કેચી ચલાવી છે.
લોકસભામાં બજેટ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધી 45 મિનિટ સુધી બોલ્યા હતા. આ દરમિયાન તેમના ભાષણ દરમિયાન વિવાદ થયો હતો અને સત્તા પક્ષના સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને ફરિયાદ કરી હતી. જે બાદ હવે રાહુલ ગાંધીના ભાષણ પર કેચી ચલાવવામાં આવી છે.
રાહુલ ગાંધીના ભાષણ પર સ્પીકરે આપત્તિ વ્યક્ત કરી હતી
રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં મોહન ભાગવત, અજિત ડોભાલ, અંબાણી અને અદાણીનું નામ લીધુ હતુ. રાહુલ ગાંધીએ પોતાના ભાષણ દરમિયાન કેટલીક વખત આ લોકોનું નામ લીધુ હતુ જેના પર સ્પીકર ઓમ બિરલાએ પણ આપત્તિ વ્યક્ત કરી હતી. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં 'ચક્રવ્યૂહ'શબ્દ પર ભાર આપ્યો હતો. રાહુલ ગાંધીએ મહાભારત યુદ્ધના ચક્રવ્યૂહ સંરચનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમાં ડર, હિંસા હોય છે અને અભિમન્યુને ફસાવીને છ લોકોએ માર્યા હતા, તેમને ચક્રવ્યૂહને પદ્મવ્યૂહ ગણાવતા કહ્યું કે આ એક ઉંધા કમળ જેવું હોય છે.
6 લોકોના કંટ્રોલમાં
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે એક નવો ચક્રવ્યૂહ તૈયાર થયો છે, તે પણ લોટસ શેપમાં છે જેને આજકાલ પીએમ મોદી છાતી પર લગાવીને ફરે છે. અભિમન્યુને 6 લોકોએ માર્યા હતા જેમના નામ દ્રોણ, કર્ણ, કૃપાચાર્ય, કૃતવર્મા, અશ્વસ્થામા અને શકુનિ હતા. આજે પણ ચક્રવ્યૂહ વચ્ચે 6 લોકો છે. ચક્રવ્યૂહ બિલકુલ સેન્ટરમાં 6 લોકો કંટ્રોલ કરે છે, જે તે સમયે 6 લોકો કંટ્રોલ કરતા હતા, તેમ આજે પણ 6 લોકો કંટ્રોલ કરી રહ્યાં છે.

