ઈઝરાયલ - ઈરાન યુદ્ધ મામલે PM MODIની ચૂપકીદી પર રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલ

અમેરિકા-ઈઝરાયલના ઈરાન પર હુમલા મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે ભારતની વિદેશ નીતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચુપકીદી પર સવાલ ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ આ યુદ્ધને અસ્થિર ક્ષેત્રને મોટાપાયે સંઘર્ષ તરફ ધકેલનારું ગણાવ્યું છે. તેમણે મોદી સરકાર સમક્ષ નૈતિક સ્પષ્ટતા આપવા માંગ કરી છે.
યુદ્ધના કારણે કરોડો લોકો સંકટમાં : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે, ‘અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ વધવાથી નબળું મિડલ ઈસ્ટ સંઘર્ષ તરફ આગળ વધી રહ્યું છે. એક કરોડ ભારતીયો સહિત કરોડો લોકો સંકટનો સામનો કરી રહ્યા છે. સુરક્ષા સંબંધિત ચિંતાઓ થતી તે વાસ્તવિક છે, પરંતુ સંપ્રભુતાનું ઉલ્લંઘન કરનારા હુમલાના કારણે સંકટ વધુ ગંભીર બનાવી દેશે.’
‘ભારતે હુમલાઓની ટીકા કરવી જોઈએ’
કોંગ્રેસ સાંસદો કહ્યું કે, ‘ઈરાન પર એકતરફી હુમલા અને ઈરાન દ્વારા અન્ય મધ્ય પૂર્વ દેશો પર કરાયેલા હુમલાની ટીકા કરવી જોઈએ. હિંસાથી હિંસા જન્મે છે, સંવાદ અને સંયમ જ શાંતિ જાળવવા માટેનો એક માત્ર રસ્તો છે. આ મામલે ભારતે નૈતિકતા દાખવી સ્પષ્ટ વલણ અપનાવવું જોઈએ. આંતરરાષ્ટ્રીય કાયદો અને માનવ જીવનની રક્ષા કરવા માટે આપણામાં ખુલીને બોલવાનું સાહસ હોવું જોઈએ.’
PM મોદીની ચુપકીદી પર ઉઠાવ્યા સવાલ
રાહુલ ગાંધીએ યુદ્ધ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ‘આપણી વિદેશ નીતિ સાર્વભૌમત્વ અને વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલ પર આધારિત છે અને તેમાં સુસંગતતા જળવાવી જોઈએ. વડાપ્રધાન મોદીએ આ બાબતે બોલવું જોઈએ. શું તેઓ વિશ્વ વ્યવસ્થાને વ્યાખ્યાયિત કરવાના એક માર્ગ તરીકે કોઈ રાષ્ટ્રાધ્યક્ષની હત્યાનું સમર્થન કરે છે? હવે આ ચુપકીદી વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠાને ઓછી કરી રહી છે.’
સોનિયા ગાંધીએ પણ સરકાર પર સાધ્યું નિશાન
આ પહેલા કોંગ્રેસે ઈરાનની ધરતી પર બોંબમારો અને હત્યાઓની નિંદા કરી છે અને ક્ષેત્રીય તેમજ વૈશ્વિક સ્થિરતા માટે તેને ખતરનાક ગણાવી છે. કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષા સોનિયા ગાંધીએ કહ્યું કે, ‘ભારતની વિદેશ નીતિ ઐતિહાસિક રીતે સાર્વભૌમત્વ સમાનતા, હસ્તક્ષેપ અને શાંતિપૂર્ણ સમાધાન જેવા સિદ્ધાંતો પર આધારિત રહી છે. વર્તમાન સરકારની ચુપકીદી આ સિદ્ધાંતોથી તદ્દન જુદી જ દેખાઈ રહી છે. આવી રીતે મૌન રહેવું તટસ્થતા નહીં, પરંતુ જવાબદારીથી પીછેહઠ છે. આના કારણે ભારતની વિદેશ નીતિની દિશા અને વિશ્વનિયતા પર ગંભીર સવાલો ઉભા થાય છે.’

