રાહુલ ગાંધીએ ફરી રમ્યો લોકસભા ચૂંટણીવાળો 'CCC' દાવ, મહારાષ્ટ્રમાં કેમ હંગામો?

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસે લોકસભા ચૂંટણીની જેમ 'CCC' વ્યૂહરચનાનો ઉપયોગ કર્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે ફરી એકવાર જાતિ ગણતરી હાથ ધરવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો અને કહ્યું કે અનામતની 50 ટકા મર્યાદા દૂર કરવામાં આવશે. રાહુલની આ જાહેરાત સાથે કોંગ્રેસ પાર્ટીને મહારાષ્ટ્ર ચૂંટણી માટે મુખ્ય મુદ્દો મળી ગયો છે. ઓબીસી યુવા અધિકાર મંચ દ્વારા આયોજિત 'સંવિધાન સન્માન' સંમેલનને સંબોધતા ગાંધીએ કહ્યું કે જાતિ ગણતરી એ ન્યાય અને સમાનતા તરફ એક મોટું પગલું છે અને તેઓ તેને પૂર્ણ કરશે. રાહુલે કહ્યું કે આ પ્રક્રિયા દલિતો, અન્ય પછાત વર્ગો અને આદિવાસીઓ સાથે થઈ રહેલા અન્યાયને પ્રકાશમાં લાવશે. રાહુલની 'CCC શરત' એટલે Caste Census, 50% Ceiling on Reservation અને Constitution
નાગપુરમાં સંમેલનને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, “જાતિની વસ્તી ગણતરીથી બધું સ્પષ્ટ થઈ જશે. દરેક વ્યક્તિને ખબર પડશે કે તેમની પાસે કેટલી શક્તિ છે અને તેમની ભૂમિકા શું છે.'' ગાંધીએ કહ્યું, ''અમે 50 ટકા (આરક્ષણ મર્યાદા)ની દિવાલ પણ તોડી નાખીશું.'' તેમણે કહ્યું કે ડૉ.બાબાસાહેબ આંબેડકર દ્વારા તૈયાર કરાયેલું બંધારણ માત્ર પુસ્તક જ નહીં પરંતુ જીવન જીવવાની રીત છે. વિપક્ષના નેતાએ કહ્યું કે જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભાજપના લોકો બંધારણ પર "હુમલો" કરે છે, ત્યારે તેઓ દેશના અવાજ પર હુમલો કરે છે.
રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, અદાણીની કંપનીના મેનેજમેન્ટમાં તમને એક પણ દલિત, ઓબીસી કે આદિવાસી નહીં મળે, કોંગ્રેસ નેતાએ કહ્યું કે, તમે માત્ર 25 લોકોનું 16 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરો છો. પરંતુ જ્યારે હું ખેડૂતોની લોન માફીની વાત કરું છું ત્યારે મારા પર હુમલો કરવામાં આવે છે.
નાગપુર પહોંચીને ગાંધી સૌ પ્રથમ દીક્ષાભૂમિ ગયા. દીક્ષાભૂમિ એ ઐતિહાસિક સ્થળ છે જ્યાં બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરે 1956માં બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. આ પછી રાહુલે ઓબીસી સંમેલનમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે આરએસએસ અને ભાજપ સામેથી બંધારણ પર હુમલો કરી શકે નહીં. તેથી, તેઓ અસમાનતાના તેમના એજન્ડાને આગળ વધારવા માટે ‘વિકાસ’, ‘પ્રગતિ’, ‘દેશભક્તિ’ જેવા શબ્દો પાછળ છુપાવે છે જે બહુમતીના ભોગે અમુક વ્યક્તિઓને લાભ સુનિશ્ચિત કરે છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી જાતિ ગણતરીની હિમાયત કરી રહેલા ગાંધીએ કહ્યું હતું કે, "જાતિની વસ્તી ગણતરી માત્ર એક નામ છે. તેનો વાસ્તવિક અર્થ ન્યાય છે." "જ્યારે હું જાતિ ગણતરીની વાત કરું છું, ત્યારે મોદીજી કહે છે કે હું દેશનું વિભાજન કરી રહ્યો છું, પરંતુ હું માત્ર વંચિત લોકોના નબળા અવાજને વિસ્તૃત કરી રહ્યો છું, મેં તે અવાજ સાંભળ્યો છે જે કહે છે કે 90% વસ્તીને જાતિની વસ્તી ગણતરીમાં કોઈ ફાયદ નથી મળ્યો. માત્ર જાતિ આધારિત વસ્તી ગણતરી આ 90% વંચિત વસ્તીને ન્યાય અપાવી શકશે.
આ કાર્યક્રમમાં નાગરિક સમાજ સંગઠનો, NGO અને લોકો વચ્ચે સમાન અધિકારો માટે કામ કરતી સામાજિક સંસ્થાઓના લગભગ 200 સભ્યોએ હાજરી આપી હતી. આ ઉપરાંત મહારાષ્ટ્રના કોંગ્રેસના કાર્યકરો અને પાર્ટીના અગ્રણી નેતાઓએ પણ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ બિન-રાજકીય અને બંધારણ તરફી હતો, જેમાં રાહુલ ગાંધી સિવાય કોઈ કોંગ્રેસી નેતા મંચ પર બેઠા ન હતા. પરંતુ બંધારણ બચાવવાની આડમાં ભાજપ-આરએસએસ પર જોરદાર પ્રહાર કરવાનો ઉદ્દેશ સ્પષ્ટ હતો. રાહુલે કહ્યું, "જ્યારથી મેં જાતિ ગણતરીની માંગ ઉઠાવી છે ત્યારથી મોદીજીની રાતોની ઉંઘ ઉડી ગઈ છે."

