પુણે કેતન અગ્રવાલ મર્ડર કેસ: લોકઅપ ભેગા થતાં જ 'પ્રેમ' ગાયબ, સિયા અને ચેતન એકબીજા પર ઢોળી રહ્યા છે દોષનો ટોપલો

પુણેના બિઝનેસમેન કેતન અગ્રવાલ હત્યાકાંડમાં એક મોટો વળાંક આવ્યો છે, જ્યાં આ કેસની મુખ્ય આરોપી સિયા ગોયલ અને તેનો કથિત બોયફ્રેન્ડ ચેતન ચૌધરી હવે સામસામે આવી ગયા છે. પોલીસ ધરપકડ બાદ પાપનો ઘડો ફૂટતા જ બંને વચ્ચેનો કથિત પ્રેમ ગાયબ થઈ ગયો છે અને તેઓ પૂછપરછમાં એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. શરૂઆતમાં અકસ્માત દેખાતી આ ઘટના પાછળ સિયા અને ચેતનની ઊંડી સાજિશ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, પોલીસે સિયા અને ચેતનની હત્યા તેમજ ગુનાહિત કાવતરું ઘડવાના આરોપસર ધરપકડ કરી છે. તપાસ અધિકારીઓએ જણાવ્યું કે લોકઅપ ભેગા થતાં જ બંને આરોપીઓ હત્યાના કાવતરાની જવાબદારી એકબીજા પર નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચેતને પોલીસ સમક્ષ એવો દાવો કર્યો છે કે તે માત્ર સિયા સાથે ભાગી જવા માંગતો હતો, પરંતુ સિયાએ જ કેતનની હત્યા કરવા પર ભાર મૂક્યો હતો.
સિયાએ પ્રેમી ચેતન પર લગાવ્યા ગંભીર આરોપ
બીજી તરફ, સિયાએ પણ પોતાના કથિત પ્રેમી ચેતન સામે મોરચો ખોલ્યો છે અને તમામ વાંક તેનો હોવાનું જણાવ્યું છે. સિયાએ પોલીસને આપેલા નિવેદનમાં દાવો કર્યો છે કે કેતનને રસ્તામાંથી હટાવવાનો પ્લાન સંપૂર્ણપણે ચેતનનો જ હતો. તેણે એવો પણ ખુલાસો કર્યો કે તેઓ 14 જૂન 2026ના રોજ જ કેતનની હત્યા કરવા માંગતા હતા, પરંતુ તે પ્લાન નિષ્ફળ જતાં ચેતન ખૂબ રડ્યો હતો.
બચાવ પ્રયુક્તિ અને પોલીસ પાસે મજબૂત પુરાવા
કેસની તપાસ કરી રહેલા અધિકારીના જણાવ્યા અનુસાર, બંને આરોપીઓ પોતાનો બચાવ કરવા માટે આ પ્રકારની રમત રમી રહ્યા છે. જો કે, પોલીસ પાસે એવા મજબૂત પુરાવા છે જે સાબિત કરે છે કે કેતનની હત્યાના કાવતરામાં સિયા અને ચેતન બંને સમાન રીતે સામેલ હતા. પોલીસને એ પણ જાણવા મળ્યું છે કે 31 મે થી 4 જૂન વચ્ચે બંને એક કેફેમાં મળ્યા હતા, અને આ મુલાકાત પણ આ ખતરનાક પ્લાનનો જ એક ભાગ હતી કે નહીં તે દિશામાં તપાસ ચાલી રહી છે.

