CJPના 'ચલો સંસદ' માર્ચને પોલીસ મંજૂરી નહીં આપે, કલમ 163 લાગુ કરી અપાઈ આ ચેતવણી

કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા 20 જુલાઈએ જાહેર કરાયેલા 'ચલો સંસદ' માર્ચને પગલે દિલ્હી પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે સાફ કરી દીધું છે કે, આ પ્રદર્શન માટે કોઈ મંજૂરી માંગવામાં આવી નથી અને તેને મંજૂરી આપવામાં પણ આવી નથી. આ સ્થિતિ વચ્ચે નવી દિલ્હી જિલ્લામાં BNSSની કલમ 163 (જે પહેલા CrPCની કલમ 144 તરીકે ઓળખાતી હતી) લાગુ કરી દેવામાં આવી છે.
નિયમ તોડ્યો તો જેલ ભેગા થવું પડશે
દિલ્હી પોલીસે કડક ચેતવણી આપતા જણાવ્યું છે કે, 'પરવાનગી વગર પ્રદર્શન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.' કલમ 163 લાગુ થવાના કારણે હવે સંસદની આસપાસ 5 કે તેથી વધુ લોકોના એકઠા થવા, સરઘસ કાઢવા કે દેખાવ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. જો કોઈ નિયમ તોડશે તો તેની સામે BNSની કલમ 223 હેઠળ ગુનો નોંધાશે.
દિલ્હીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
20 જુલાઈથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું હોવાથી નવી દિલ્હી અને સેન્ટ્રલ દિલ્હીના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. સરકારી ઈમારતો અને વીઆઈપી લોકોની સુરક્ષા માટે વધારાની વ્યવસ્થા કરાઈ છે. મુખ્ય રસ્તાઓ પર બેરિકેડિંગ કરીને વાહનોનું સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે.
શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ
CJP દ્વારા આ માર્ચ NEET પરીક્ષાની ગેરરીતિઓના વિરોધમાં અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે કરશે. બીજી તરફ, જંતર-મંતર પર CJPના સ્થાપક અભિજીત દીપકેનું અનશન ચાલુ છે.
જંતર-મંતર માટે પણ લેવી પડશે મંજૂરી
દિલ્હી પોલીસે સ્પષ્ટ કર્યું છે કે સંસદની આસપાસનો વિસ્તાર હાઈ સિક્યોરિટી ઝોન હોવાથી ત્યાં કોઈને જવા દેવાશે નહીં. એટલું જ નહીં, પ્રદર્શન માટે નક્કી કરાયેલી જગ્યા જંતર-મંતર પર પણ ભીડ એકઠી કરવા કે સભા યોજવા માટે પહેલાથી પરવાનગી લેવી ફરજિયાત રહેશે.

