PM નરેન્દ્ર મોદી જશે ઇસ્લામાબાદ? SCO સમિટ માટે ભારતને આમંત્રણ મોકલવાની તૈયારીમાં પાકિસ્તાન

પાકિસ્તાને સત્તાવાર રીતે સંકેત આપ્યા છે કે તે વર્ષ 2027માં ઇસ્લામાબાદ (Islamabad) ખાતે યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (Shanghai Cooperation Organisation - SCO) શિખર સમિટ માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિમંત્રણ પાઠવશે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એક મીડિયા બ્રીફિંગ (Media Briefing) દરમિયાન આ બાબતની સ્પષ્ટતા કરી હતી.
SCO પ્રોટોકોલ હેઠળ તમામ સભ્ય દેશોને અપાશે આમંત્રણ
પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે SCO ના નિર્ધારિત પ્રોટોકોલ (Protocol) અને નિયમો મુજબ, આયોજક દેશ તરીકે તમામ સભ્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને શાસનાધ્યક્ષોને સમિટમાં આમંત્રિત કરવા તે તેમની જવાબદારી છે. આ પ્રક્રિયા હેઠળ ભારત સહિત તમામ સભ્ય દેશોના વડાઓને ઔપચારિક નિમંત્રણ (Official Invitation) મોકલવામાં આવશે.
મનિલામાં બેઠક અંગે અનિશ્ચિતતા
આ મીડિયા બ્રીફિંગ દરમિયાન ફિલિપાઈન્સના મનિલા (Manila) ખાતે યોજાનારી ASEAN બેઠકો દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર (S. Jaishankar) અને પાકિસ્તાનના વિદેશ મંત્રી વચ્ચે સંભવિત દ્વિપક્ષીય બેઠક (Bilateral Meeting) અંગે પણ સવાલો પૂછવામાં આવ્યા હતા.
જોકે, પાકિસ્તાની પ્રવક્તાએ સ્પષ્ટતા કરી હતી કે તેમને ભારત તરફથી આવી કોઈ દ્વિપક્ષીય બેઠક માટે વિનંતી (Request) મળી હોવાની કોઈ માહિતી નથી. નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના વણસેલા સંબંધો વચ્ચે આ સમિટમાં પીએમ મોદીની હાજરી અંગે હજુ સુધી ભારત સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

