'દેશના દરેક ગરીબ અને મધ્યમવર્ગ પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહે', બજેટ સત્ર પહેલા PM મોદી

સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઇ રહ્યુ છે. આજે રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે શરૂ થવા જઇ રહેલા બજેટ સત્રના પ્રથમ દિવસે આર્થિક સર્વેક્ષણ રજૂ થશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટ સત્ર પહેલા કહ્યું કે, જનતાએ ત્રીજી વખત મને આ દાયિત્વ સોપ્યું છે. અમારી સરકારનું આ પ્રથમ પૂર્ણ બજેટ છે.
PM મોદીએ માં લક્ષ્મીની સ્તુતિ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બજેટ સત્રની કાર્યવાહીમાં સામેલ થવા માટે સંસદ ભવન પહોંચ્યા હતા. પીએમ મોદીએ આ દરમિયાન પત્રકારોને સંબોધતા ધનની દેવી માં લક્ષ્મીનું સ્મરણ કર્યું અને સમૃદ્ધિની દેવીની સ્તુતિ કરી હતી અને કહ્યું કે આ સદીઓ જૂની પરંપરા છે. પીએમ મોદીએ કહ્યું કે, માં લક્ષ્મીને પ્રાર્થના કરૂ છું કે સમૃદ્ધિ અને વિવેક, સમૃદ્ધિ અને કલ્યાણ પણ આપે છે. હું પ્રાર્થના કરૂં છું કે દેશના દરેક ગરીબ અને મધ્યમવર્ગ પર માં લક્ષ્મીની વિશેષ કૃપા રહે. ગણતંત્રના 75 વર્ષ પૂર્ણ થયા છે અને આ દરેક દેશવાસીઓ માટે સૌથી ગૌરવપૂર્ણ છે.
આપણે મહિલા શક્તિનો ગર્વ સ્થાપિત કરવો પડશે - PM મોદી
PM મોદીએ કહ્યું કે, દેશના લોકોએ મને ત્રીજી વખત આ મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપી છે અને આ ત્રીજા કાર્યકાળનું પહેલું પૂર્ણ બજેટ છે. મિશન મોડમાં કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે મહિલા શક્તિનો ગર્વ સ્થાપિત કરવો પડશે. પીએમ મોદીએ કહ્યું કે આ સત્ર વિકસિત ભારતને નવી ઉર્જા આપશે. 2047 માટે વિકસિત ભારતનો સંકલ્પ છે. આ સત્રમાં ઘણા ઐતિહાસિક બિલો પર ચર્ચા કરવામાં આવશે. આ સત્રમાં ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે. દેશને મજબૂત બનાવવા માટે કાયદા બનાવવામાં આવશે.
PM મોદીનો કટાક્ષ
PM મોદીએ કટાક્ષ કરતા કહ્યું કે આ બજેટ કંઇક અલગ છે, અત્યાર સુધી કોઇ વિદેશી અવાજ ઉઠ્યો નથી, નહીં તો કેટલાક તત્ત્વો તૈયાર જ બેઠા હોય છે.

