PM મોદીએ નવલકથાકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું અપમાન કર્યું: CM મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે માફીની માગ કરી છે. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે, વડાપ્રધાને નવલકથાકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયને 'બંકિમ દા' કહીને તેમનું અપમાન કર્યું છે.
કૂચ બિહાર જિલ્લામાં એક રેલીને સંબોધિત કરતાં મમતા બેનર્જીએ કહ્યું કે, 'જ્યારે દેશને આઝાદી મળી ત્યારે વડાપ્રધાનનો જન્મ પણ નહોતો થયો. તેમ છતાં તેમણે બંગાળના સૌથી મોટા સાંસ્કૃતિક પ્રતીકોમાંથી એકને આટલા સાધારણ રીતે સંબોધિત કર્યા. PM મોદીએ તેમને ન્યૂનતમ સન્માન પણ ન આપ્યું જેના તેઓ હકદાર છે. તમારે આ માટે રાષ્ટ્રની માફી માગવી જોઈએ.'
"બંગાળ સરકાર તમામ યોજનાઓ પોતાના દમ પર ચલાવી રહી છે"
આ ઉપરાંત CM મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પાસેથી મદદ ન લેવાની વાત પણ કરી. તેમણે કહ્યું કે, 'અમને કેન્દ્ર સરકાર તરફથી કોઈ મદદ નથી જોઈતી. બંગાળ સરકાર તમામ યોજનાઓ પોતાના દમ પર ચલાવી રહી છે. એક દિવસ પહેલા કેન્દ્રએ રાજ્યને નોટિસ મોકલીને ત્રિમાસિક લેબર બજેટની વિગતો માગી હતી. 6 ડિસેમ્બર સુધીમાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો, પરંતુ હું કહેવા માંગુ છું કે તમારી નોટિસનું કોઈ મહત્ત્વ નથી.'
ક્યાંથી શરુ થયો વિવાદ?
વાસ્તવમાં આ સમગ્ર વિવાદ ત્યારે શરુ થયો જ્યારે સોમવારે લોકસભામાં રાષ્ટ્રગીત 'વંદે માતરમ'ના 150 વર્ષ પૂરા થવા પર થયેલી ચર્ચા દરમિયાન વડાપ્રધાને લેખકનો ઉલ્લેખ 'બંકિમ દા' કહીને કર્યો. TMC સાંસદ સૌગત રોયે 'દા' શબ્દના પ્રયોગ સામે વાંધો ઉઠાવ્યો અને વડાપ્રધાનને તેમને 'બંકિમ બાબુ' કહેવાનો આગ્રહ કર્યો.
PM મોદીએ તરત જ તેમની ભાવના સ્વીકારી અને કહ્યું કે, 'હું બંકિમ બાબુ' કહીશ. આભાર, હું તમારી ભાવનાઓનું સન્માન કરું છું. ત્યારબાદ હળવા અંદાજમાં PMએ પૂછ્યું કે શું હવે હું રોયને પણ ''દાદા'' કહી શકું છું?
ભાજપ પર સાધ્યું નિશાન
ભાજપ પર નિશાન સાધતાં મમતા બેનર્જીએ દાવો કર્યો કે, જો ભાજપ બંગાળમાં સત્તામાં આવે તો તે રાજ્યની સંસ્કૃતિ, ભાષા અને વારસાને નષ્ટ કરી દેશે. તેમણે એ પણ દાવો કર્યો કે, SIP પ્રક્રિયા બાદ અંતિમ મતદાર યાદી પ્રકાશિત થતાંની સાથે જ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓ જાહેર કરવામાં આવશે, જેથી કોઈ તેને કોર્ટમાં પડકારી ન શકે.
TMC સાંસદોએ કર્યું મૌન પ્રદર્શન
'વંદે માતરમ' પર ચર્ચા બાદ આજે TMC સાંસદોએ સંસદના સેન્ટ્રલ હોલમાં મૌન પ્રદર્શન કર્યું. તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપે બંગાળના મહાન સાહિત્યકારો રવિન્દ્રનાથ ટાગોર અને બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયનું અપમાન કર્યું છે. સાંસદો સેન્ટ્રલ હોલમાં ટાગોર અને ચટ્ટોપાધ્યાયની તસવીરો લઈને મૌન બેઠા હતા. બાદમાં તેઓ બંધારણ ખંડના પ્રવેશદ્વાર પર ઊભા રહ્યા.

