કોંગ્રેસનો આંતરિક ડખો સપાટી પર; PM મોદીના વખાણ મુદ્દે શશી થરૂર પર ભડક્યા પવન ખેડા

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફરી વખાણ કરતા તેમની અને પાર્ટી વચ્ચે આંતરિક વિવાદ શરૂ થઈ ગયો છે. જ્યારે થરૂર કોઈ આંતરરાષ્ટ્રીય મુદ્દા મામલે પીએમ મોદીના વખાણ કરતા હોય છે, ત્યારે કોંગ્રેસમાં આંતરિક ચડભડ શરૂ થઈ જાય છે. તાજેતરમાં જ G7 સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ હતી, જેમાં PM મોદીએ ભારતીય નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો, ત્યારે થરૂરે PM મોદીના આ વલણનું સમર્થન કરતા કોંગ્રેસને વાંધો પડ્યો છે.
શશિ થરૂરના નિવેદન પર કોંગ્રેસની આકરી પ્રતિક્રિયા
કોંગ્રેસ નેતા પવન ખેડાએ શશિ થરૂરના નિવેદન પર આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસનું કહેવું છે કે, થરૂર PM મોદીના અનેક વખત વખાણ કરે છે. ક્યારેક તો PM મોદી ન બોલ્યા હોય તે વાતો પણ થરૂર બોલી કાઢે છે. ખેડાએ કટાક્ષના અંદાજમાં કહ્યું કે, ‘થરૂર વડાપ્રધાન મોદીના અનેક વખત વખાણ કરી રહ્યા છે, તેના પરથી લાગે છે કે, તેઓ એવી વાતો પણ સાંભળી લે છે, જે મોદીએ કહી જ નથી. થરૂરે પીએમ મોદીની એવી કડક કૂટનીતિ અને નિવેદન સાંભળી લીધા છે, જે સત્તાવાર રેકોર્ડમાં ક્યાંક નથી.’
થરૂરે પણ આપ્યો વળતો જવાબ
પવન ખેડાની ટિપ્પણીનો થરૂરે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, ‘કેટલાક લોકો માત્ર મીડિયામાં છપાયેલા રિપોર્ટોનો જ ઉલ્લેખ કરતા હોય છે. તે લોકો એવો આક્ષેપ કરી રહ્યા છે કે, મેં પીએમ મોદીની એવી વાત કહી, જે તેમણે કહી જ નથી.’ તેમણે એવું પણ કહ્યું કે, ‘હું મારા નિવેદનો પરથી નહીં પલટું. મેં મોદી-ટ્રમ્પની મુલાકાત મામલે ભારતીય નાવિકોની સુરક્ષાની વાત કહી હતી.’
‘આજ સુધી કોઈએ મારા પર આવો આક્ષેપ કર્યો નથી’
થરૂરે એવું પણ કહ્યું કે, ‘હું સતત વાંચુ છું અને જે વાંચુ છું તે યાદ પણ રાખું છું. મેં તથ્યોને ખોટી રીતે રજૂ કર્યા હોય તેવો આજ સુધી કોઈએ આક્ષેપ કર્યો નથી. મેં મીડિયા અહેવાલોના આધારે જ ટિપ્પણી કરી હતી અને હું આજે પણ મારી ટિપ્પણી પર કાયમ રહીશ.
‘ગંભીર મુદ્દાઓ પર રાજકીય વિવાદ ઉભો કરવો આશ્ચર્યજનક બાબત’
પવન ખેડાના નિવેદન પહેલા થરૂરે આ વિવાદ મામલે નારાજગી પણ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, ‘ભારતીય નાવિકોની સુરક્ષા જેવા ગંભીર મુદ્દાઓ પર રાજકીય વિવાદ ઉભો કરવો, તે આશ્ચર્યજનક વાત છે. તાજેતરમાં જ ત્રણ ભારતીય નાગરિકોના મોત થયા છે અને મેં માત્ર ભારતીય નાગરિકોની સુરક્ષા મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. યુદ્ધ દરમિયાન કોઈપણ સેનાએ કોમર્શિયલ જહાજો પર કામ કરનારા નાવિકોને નિશાન ન બનાવવા જોઈએ. કેટલાક લોકો આ મુદ્દે ચિંતા કરવાના બદલે રાજકારણ કરવામાં વધુ રસ દાખવે છે, તો આ બાબત તેમની વિચારસરણી કેવી છે, તે છતું કરે છે.’
થરૂરે શું કહ્યું હતું?
શશિ થરૂરે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે સ્પષ્ટતા સાથે ભારતનો પક્ષ રજૂ કર્યો હતો. તેમનું કહેવું હતું કે, પીએમ મોદીએ જાહેર અને ખાનગી બેઠકમાં સ્પષ્ટ કહ્યું કે, યુદ્ધ દરમિયાન કોમર્શિયલ જહાજો પર કામ કરનારા નાગરિકો સૈનિક હોતા નથી, તેથી તેમને ટાર્ગેટ ન કરવા જોઈએ. થરૂરના મત મુજબ, પીએમ મોદીએ આ જ સંદેશ ટ્રમ્પ સુધી પહોંચાડ્યો છે.

