દિલ્હી બ્લાસ્ટ બાદ પાકિસ્તાને બોર્ડર પર સુરક્ષા વધારી, ફાઇટર જેટ્સનું પેટ્રોલિંગ; કેટલાક દેશોએ એડવાઇઝરી જાહેર કરી

દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ પાકિસ્તાને સરહદ પર સુરક્ષા વધારી દીધી છે. રાજસ્થાન સાથે જોડાયેલી સરહદ પર પાકિસ્તાની વાયુ સેનાના ફાઇટર જેટ્સ પેટ્રોલિંગ કરતા જોવા મળ્યા છે.આ સાથે જ કેટલાક દેશોએ ભારતમાં પોતાના નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી છે.
દિલ્હીમાં બ્લાસ્ટ બાદ પાકિસ્તાનને લાગ્યો ડર
દિલ્હીમાં સોમવાર સાંજે 6.52 વાગ્યે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે એક કારમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં 10 લોકોનાં મોત થયા છે. આ બ્લાસ્ટ સાથે જ પાડોશી દેશ પાકિસ્તાન પણ હરકતમાં આવ્યું છે.
પાકિસ્તાને આ બ્લાસ્ટથી ડરીને પોતાની સરહદ પર સુરક્ષા વધારી દીધી છે. રાજસ્થાન સાથે જોડાયેલી સરહદ પર પાકિસ્તાની વાયુ સેનાના ફાઇટર જેટ્સે પેટ્રોલિંગ શરૂ કર્યું છે. દિલ્હી બ્લાસ્ટ બાદ પાકિસ્તાનની ત્રણેય સેનાઓએ એક ઇમરજન્સી બેઠક બોલાવી છે. પીએમ શહબાઝ શરીફે પણ NSA અને DG ISI સાથે મોડી રાત સુધી આ મુદ્દા પર ચર્ચા કરી છે.
ઓપરેશન સિંદૂરથી ડર્યું પાકિસ્તાન
પુલવામામાં થયેલા હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. એવામાં હવે જ્યારે ભારતમાં ફરી બ્લાસ્ટ થયો છે તો તેની જવાબી કાર્યવાહીમાં સરકાર શું કરશે તે વાતની ચિંતા પાડોશી દેશને સતાવી રહી છે. પાકિસ્તાન પોતાના સુરક્ષાની વ્યવસ્થાને મજબૂત કરી રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા જોઇ બીજા દેશોએ પણ પોતાના નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી છે.
અમેરિકા અને બ્રિટન દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી
અમેરિકન દૂતાવાસે ભારતમાં રહેલા પોતાના લોકોને લાલ કિલ્લાની આસપાસ અને અન્ય ભીડભાડ ધરાવતા પ્રવાસન સ્થળોથી અંતર જાળવી રાખવા અને સાવચેત રહેવાની સલાહ આપી છે. આ સાથે જ બ્રિટનના વિદેશ મંત્રાલયે પણ ચેતવણી જાહેર કરતા પોતાના નાગરિકોને ભારત-પાકિસ્તાન સરહદથી 10 કિલોમીટર અંદર જતા વિસ્તારમાં મુસાફરી ના કરવાની સલાહ આપી છે. બ્રિટિશ સરકારે પોતાના લોકોને જમ્મુ કાશ્મીર અને મણિપુર રાજ્યમાં ના જવાની એડવાઇઝરી જાહેર કરી છે.

