Pahalgam Terror Attack: શહીદ વિનય નરવાલના જન્મદિને તેની પત્નીએ દેશમાં નફરત ન ફેલાવવા અપીલ કરી

Vinay Narwal's Wife Himamshi Promotes Unity: પહલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ભારતીય નેવીના સૈનિક લેફ્ટનન્ટ વિનય નરવાલના જન્મદિવસ પર, તેમની પત્ની હિમાંશીએ કહ્યું કે, 'હું ઈચ્છું છું કે આખો દેશ તેમના માટે પ્રાર્થના કરે કે તે જ્યાં પણ હોય, તે સ્વસ્થ અને ખુશ રહે. અમે દેશમાં શાંતિ ઇચ્છીએ છીએ. મને કોઈ પણ પ્રકારની નફરત નથી જોઈતી. હું નથી ઇચ્છતી કે દેશ મુસ્લિમો અને કાશ્મીરીઓની વિરુદ્ધ જાય.'
થેલેસેમિયાના દર્દીઓ માટે રક્તદાન શિબિરનું આયોજન
આજે 1લી મેના રોજ વિનય નરવાલનો 26મો જન્મદિવસ છે. આ પ્રસંગે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે તેની પત્ની હિમાંશીએ પણ રક્તદાન કર્યું. પહેલા પરિવારના સભ્યો આ દિવસ માટે ખાસ તૈયારીઓ કરતા હતા અને પાર્ટી માટે બધા મિત્રો અને સંબંધીઓને આમંત્રણ આપવાના હતા, પરંતુ હવે બધું બદલાઈ ગયું છે. તેથી, પરિવારના સભ્યોએ વિનયની યાદમાં થેલેસેમિયાના દર્દીઓ માટે રક્તદાન શિબિરનું આયોજન કરવાનું નક્કી કર્યું.
તે જ સમયે, વિનયના સંબંધીઓ, માતા આશા, પિતા રાજેશ નરવાલ અને દાદા હવા સિંહે પણ સર્વાનુમતે તેને શહીદનો દરજ્જો આપવાની માંગણીની વાત કરી હતી. પિતાએ કહ્યું કે, 'સરકારે આ અંગે વિચારવું જોઈએ, જો કોઈ અધિકાર હોય તો તે આપવો જોઈએ. તેમજ સરકાર તરફથી જે કંઈ ફંડ મળશે તે અમે અમે કોઈ સંસ્થાને દાન કરીશું. અમે એમાંથી એક પણ રૂપિયો અમારા ઘરમાં નહિ વાપરીએ.'
74 મહિના પછી ઘાટીમાં થયો આતંકી હુમલો
ફેબ્રુઆરી 2019માં જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા પછી, ખીણમાં સૌથી ઘાતક હુમલો પહલગામમાં થયો છે. પહલગામ શહેરથી લગભગ 6 કિલોમીટર દૂર આવેલું બૈસરન, ગાઢ પાઈન જંગલો અને પર્વતોથી ઘેરાયેલું એક વિશાળ ઘાસનું મેદાન છે અને દેશ અને દુનિયાના પ્રવાસીઓમાં એક પ્રિય સ્થળ છે. પહલગામમાં થયેલા હુમલામાં 26 લોકોના મોત થયા હતા.

