VIDEO: 'પ્રધાનમંત્રીનું કામ બીજા કરી લેશે, એમને ઈન્ફ્લૂએન્સર બની જવું જોઈએ' ; છત્રપતિ સંભાજીનગર પહોંચીને અભિજીત દીપકેનું મોટું નિવેદન
દિલ્હીના જંતર-મંતર ખાતે લાંબા સમય સુધી ચાલેલા વિરોધ પ્રદર્શન બાદ કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકે છત્રપતિ સંભાજીનગર સ્થિત પોતાના ઘરે પરત ફર્યો છે. હોમટાઉન પહોંચ્યા બાદ તેમણે પોતાના આંદોલનના અનુભવો, પેપર લીક સામેના નવા કાયદા અને ભવિષ્યની રણનીતિ અંગે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા હતા.
"ઘરે પરત ફરીને રાહત અનુભવી રહ્યો છું"
જંતર-મંતર પરના પોતાના સંઘર્ષને યાદ કરતા અભિજીત દીપકેએ જણાવ્યું હતું કે, "હું 37 દિવસ સુધી જંતર-મંતર પર આંદોલનમાં હતો. આટલા લાંબા સંઘર્ષ પછી ઘરે પરત ફરીને મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. હવે હું આખરે શાંતિથી ઊંઘી શકીશ... હું મારી સામાન્ય જિંદગીમાં પાછો ફરવા ઈચ્છું છું."
પેપર લીક કાયદા અને સિસ્ટમ પર સવાલ
જાહેર પરીક્ષા સુધારા વિધેયક (Public Examination Bill) અંગે પોતાના વિચારો રજૂ કરતા તેમણે કાયદા કરતા દાનત સુધારવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે દેશમાં ઘણા સુધારાઓ થાય છે, પરંતુ જ્યાં સુધી લોકોની દાનત કે નીતમાં સુધારો ન આવે ત્યાં સુધી કંઈપણ બદલાઈ શકતું નથી. સિસ્ટમ પર સવાલ ઉઠાવતા તેમણે ઉમેર્યું કે પેપર લીકના કેસમાં ફાસ્ટ-ટ્રેક કોર્ટની સૌથી પહેલી જ સુનાવણી CBIના વકીલ ગેરહાજર રહેવાને કારણે મુલતવી રાખવામાં આવી હતી, જે દર્શાવે છે કે કાયદા પછી પણ અમલવારીમાં કેટલી ખામીઓ છે.
"FIR રદ નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર બનશે"
વિદ્યાર્થીઓ સામે નોંધાયેલા કેસ અંગે સરકારને આકરા શબ્દોમાં ચેતવણી આપતા અભિજીત દીપકેએ કહ્યું, "જો આંદોલનકારી વિદ્યાર્થીઓ સામે કરવામાં આવેલી FIR પાછી ખેંચવામાં નહીં આવે, તો અમે અમારો વિરોધ ચાલુ રાખીશું. જો જરૂર પડી, તો આગામી વિરોધ પ્રદર્શન આનાથી પણ વધુ મોટું અને વ્યાપક હશે."

