VIDEO : 'નારી શક્તિના સન્માનમાં વિપક્ષે રોડા નાખ્યા, સીમાંકન બાદ જ મળશે અનામત'; લોકસભામાં ગર્જ્યા અમિત શાહ
લોકસભામાં મહિલા અનામત બિલ અને સીમાંકન (Delimitation) બિલ પર ચાલી રહેલી ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, જોકે કોઈએ સીધો વિરોધ કર્યો નથી, પરંતુ INDI ગઠબંધનના સભ્યો 'જો અને તો' જેવા બહાના હેઠળ આ બિલનો વિરોધ કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે વિપક્ષ બિલના અમલીકરણની રીતનો નહીં, પરંતુ વાસ્તવમાં મહિલા અનામતનો જ વિરોધ કરી રહ્યો છે.
સીમાંકનની પ્રક્રિયામાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ને તેમની વધતી વસ્તીના પ્રમાણમાં ફાળવવામાં આવતી બેઠકોની સંખ્યામાં વધારો કરવાની જોગવાઈ પણ શામેલ છે. એક અર્થમાં જે લોકો સીમાંકનનો વિરોધ કરી રહ્યા છે તેઓ વાસ્તવમાં SC અને ST બેઠકોમાં વધારાનો વિરોધ કરી રહ્યા છે.
SC/ST બેઠકોમાં વધારાનો વિરોધ
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આ ચર્ચાને જો ઝીણવટપૂર્વક કોઈ સાંભળશે તો મહિલા આરક્ષણ માટે જે સંવિધાન સંશોધન છે તેનો કોઈ વિરોધ નહીં કરે.
અમિત શાહે કહ્યું કે, આપણા બંધારણમાં સમયાંતરે સીમાંકન કરવાની જોગવાઈ છે. સીમાંકન પ્રક્રિયા દ્વારા જ અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ની બેઠકો વધારવાની જોગવાઈ છે. જે લોકો સીમાંકનનો વિરોધ કરે છે, તેઓ વાસ્તવમાં આ વર્ગોની બેઠકો વધારવાનો વિરોધ કરી રહ્યા છે.
બિલ લાવવાનો હેતુ બતાવતા કહ્યું કે, મહિલા સશક્તિકરણ માટેના આ સુધારાને સમયબદ્ધ રીતે અમલમાં મૂકીને 2029ની ચૂંટણી મહિલા અનામત સાથે યોજવાનો છે. 'એક વ્યક્તિ, એક વોટ, એક મૂલ્ય'ના બંધારણીય સિદ્ધાંતને સાચા અર્થમાં લાગુ કરવો. દેશમાં હાલ એવી 127 બેઠકો છે જ્યાં વસ્તી 20 લાખથી વધુ છે. ક્યાંક 45 લાખ મતદારો પર એક પ્રતિનિધિ છે, તો ક્યાંક 6 લાખ પર. આ અસમાનતા દૂર કરવા સીમાંકન જરૂરી છે જેથી દરેક વોટનું મૂલ્ય સમાન રહે.
સીમાંકન અત્યારે કેમ લાવવામાં આવ્યું?
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ઘણા સભ્યોએ એવી શંકા વ્યક્ત કરી હતી કે, સીમાંકન અત્યારે કેમ લાવવામાં આવ્યું? તો હું જણાવી દઉં કે જે 'નારી શક્તિ વંદન અધિનિયમ' આવ્યો તેમાં ઉલ્લેખ છે કે 2026 પછી થનારી વસ્તી ગણતરી બાદ બાદ જે સીમાંકન થશે, તેમાં મહિલાઓ માટે અનામત સુનિશ્ચિત કરવામાં આવશે. હવે તેઓ કહે છે કે બિલ લાવતી વખતે આવો ઉલ્લેખ કેમ કરવામાં આવ્યો? આ અમે નથી કર્યું. 1971માં ઇન્દિરા ગાંધીની સરકાર હતી, ત્યારે તેઓ તેને 'ફ્રીઝ' (સ્થગિત) કરીને ગયા હતા. તે ફ્રીઝ કરવામાં આવેલી બેઠકોની સંખ્યામાં ફેરફાર થાય ત્યારે જ નારી શક્તિ વંદન અધિનિયમનું અમલીકરણ શક્ય બને છે, એટલા માટે અમે આ લાવ્યા છીએ.
56.79 કરોડની વસ્તી મુજબ કુલ સાંસદો
ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં જણાવ્યું હતું કે, સૌથી પહેલા 1972માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની સરકારે સીમાંકન વિધેયક લાવીને બેઠકો 525થી વધારીને 545 કરી હતી અને પછી તેને ફ્રીઝ કરી દીધી હતી. 1976માં સત્તા બચાવવા માટે કટોકટી (ઇમરજન્સી) દરમિયાન 42મા સુધારા દ્વારા સીમાંકન પર રોક લગાવી દેવામાં આવી હતી. ઇન્દિરાજી વડાપ્રધાન હતા ત્યારે તેમણે કાયદો લાવીને સીમાંકન અટકાવ્યું હતું, પરંતુ આજે વિપક્ષમાં બેસીને પણ તેઓ સીમાંકન રોકવા માંગે છે. તે સમયે પણ કોંગ્રેસે જ દેશની જનતાને સીમાંકનથી વંચિત રાખી હતી અને આજે પણ કોંગ્રેસ જ સીમાંકનથી વંચિત રાખી રહી છે. 1976માં દેશની વસ્તી 56.79 કરોડ હતી, જે આજે 140 કરોડ છે. 56.79 કરોડની વસ્તીમાં જેટલા સાંસદો હતા, તેટલા જ 140 કરોડની વસ્તીમાં પણ રાખવા, એવું આ વિપક્ષનું માનવું છે.
આ વિધેયક પર 56 મહિલાઓએ વાત કરી
અમિત શાહે લોકસભામાં જણાવ્યું હતું કે, "આ મહત્વપૂર્ણ બંધારણીય સુધારા વિધેયક પર ગૃહમાં અંદાજે 133 સભ્યોએ પોતાના વિચારો રજૂ કર્યા, જેમાંથી 56 મહિલાઓ હતી.
ગૃહમંત્રીએકહ્યું કે, જો આપણે 543 બેઠકોના આધારે મહિલા અનામત લાગુ કરીશું તો તમિલનાડુમાં 13 બેઠકો મહિલાઓ માટે અનામત થશે અને 26 બેઠકો સામાન્ય રહેશે. જો 2011ની વસ્તી ગણતરી મુજબ મહિલા અનામત લાગુ કરીએ, તો સંસદીય બેઠકોની સંખ્યા 6 ઓછી થઈ જશે. પરંતુ આપણે એવું નથી કરી રહ્યા. અમે દરેક રાજ્ય માટે 50 ટકા બેઠકોનો વધારો કરી રહ્યા છીએ.

