કોંગ્રેસના હાલ અંગે વિપક્ષી ગઠબંધન INDIAના નેતાઓ જ કરી રહ્યા છે મજાક

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે સત્તા સંઘર્ષ ચાલી રહ્યો છે. તો કોંગ્રેસ પોતાનું ખાતું ખોલવા માટે પણ સંઘર્ષ કરી રહી છે. દિલ્હીના પરિણામોના વલણને જોતા વિપક્ષી ગઠબંધન INDIAના નેતાઓ જ કોંગ્રેસ પર કટાક્ષ કરી રહ્યા છે. દિલ્હીમાં નબળા પ્રદર્શનનું કારણ કોંગ્રેસ અને AAP અલગ-અલગ લડ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભારતીય ચૂંટણી પંચ એટલે કે ECI ના તાજેતરના આંકડા દર્શાવે છે કે ભાજપે વલણોમાં બહુમતીના આંકડાને પાર કરી લીધો છે.
શિવસેના (UBT) ના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યું, 'આપ પણ ભાજપને હરાવવા માટે લડે છે, કોંગ્રેસ પણ લડે છે, પરંતુ તેઓ અલગ રીતે લડે છે.' જો તેઓ સાથે હોત તો દિલ્હીના પરિણામમાં પ્રથમ કલાકમાં જ ભાજપનો પરાજય થઈ ગયો હોત. કોંગ્રેસ અંગે તેમણે કહ્યું, 'કોંગ્રેસે ખાતું ખોલાવ્યું છે, બસ. બધા ખાતું ખોલાવવા માટે મેદાનમાં આવે છે.
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ દિલ્હી ચૂંટણીના પરિણામો પર કોંગ્રેસ અને AAP પર કટાક્ષ કરતા કહ્યું કે, હજુ પણ અંદરોઅંદર લડી મરો..., આ સાથે તેમણે એક GIF પણ શેર કરી છે. મહત્ત્વનું છે કે લોકસભા ચૂંટણી સાથે લડનાર AAP અને કોંગ્રેસે હરિયાણા પછી દિલ્હી વિધાનસભા ચૂંટણી પણ અલગથી લડવાનો નિર્ણય લીધો હતો.
ECI ના તાજેતરના આંકડા અનુસાર, ભાજપ 42 બેઠકો પર આગળ છે, જે બહુમતી સંખ્યા કરતા 6 વધુ છે. જ્યારે, સત્તાધારી AAP 28 બેઠકો પર આગળ છે. મુખ્યમંત્રી આતિશી સહિત AAPના ઘણા મોટા નેતાઓ પાછળ રહી ગયા છે.

