પૂંછમાં સેનાના કેમ્પમાં ગ્રેનેડ વિસ્ફોટ થતાં એક જવાન શહીદ, સુરક્ષા દળો એલર્ટ

જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાથી મોટી ઘટના સામે આવી છે. પૂંછના સુરનકોટ વિસ્તારમાં આજે સોમવારે (29 સપ્ટેમ્બર) આકસ્મિક રીતે ગ્રેનેડ વિસ્ફોટ થતાં એક જવાન શહીદ થયા હોવાનું સામે આવ્યું છે.
પૂંછમાં સેનાના કેમ્પમાં ગ્રેનેડ વિસ્ફોટ થતાં જવાન શહીદ
મળતી માહિતી મુજબ, પૂંછના સુરનકોટમાં સેનાના કેમ્પમાં વિસ્ફોટમાં થયો હતો. સમગ્ર ઘટના મામલે સેનાના અધિકારીએ જણાવ્યું હતું કે, 'સૈનિક સુરનકોટ વિસ્તારમાં દ્રાબા ખાતે 16RRના કેમ્પની અંદર એક ચોકી પર સંત્રી ગાર્ડની ફરજ પર હતો, ત્યારે આજે સાંજે 7:45 વાગ્યાની આસપાસ ગ્રેનેડ ફૂટ્યો હતો. જેમાં એક જવાન શહીદ થયો છે, શહીદ સૈનિકોની ઓળખ સિપાહી ચૌધરી ભાવેશ તરીકે થઈ છે.'
ઘટનાને લઈ તપાસ શરૂ
ગ્રેનેડ વિસ્ફોટ થવાની ઘટનાને લઈને સેનાના જવાનો તાત્કાલિક એક્શનમાં આવી ગયા હતા અને સમગ્ર વિસ્તારની તપાસ કરવા લાગ્યા હતા. ઘટનાને પગલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે. સેનાના અધિકારીએ જણાવ્યું કે, 'વિસ્ફોટનો અવાજ આવ્યો, પરંતુ આ આતંકવાદ સાથે જોડાયેલો હોવાનું જણાતું નથી. જ્યારે તપાસ એજન્સી દરેક સ્તરે તપાસ કરી રહી છે.'

