Nipah virusથી કેરળમાં એક વ્યક્તિનું મોત, જાણો ખતરનાક વાયરસના લક્ષણો અને બચાવના ઉપાયો

કેરળમાં રવિવારે એક વ્યક્તિનું નિપાહ વાયરસના સંક્રમણથી મોત થયાની પુષ્ટિ સ્વાસ્થ્ય મંત્રીએ કરી હતી. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે, મલપ્પુરમની એક ખાનગી હોસ્પિટલમાં નિપાહ વાયરસથી સંક્રમિત યુવકનું મોત થયું છે.દર્દીની ઉંમર 24 વર્ષની હતી. કેરળમાં નિપાહ વાયરસ ફેલાઈ રહ્યો છે. કેરળમાં નિપાહનો પ્રકોપ 2018, 2021 અને 2023માં કોઝિકોડ જિલ્લામાં અને 2019માં એર્નાકુલમ જિલ્લામાં જોવા મળ્યો હતો. એક સંશોધનમાં કોઝિકોડ, વાયનાડ, ઇડુક્કી, મલપ્પુરમ અને એર્નાકુલમ જિલ્લામાં ચામાચીડિયામાં નિપાહ વાયરસ એન્ટિબોડીઝ હોવાનું બહાર આવ્યું છે. ત્યારે નિપાહ વાયરસથી સંબંધિત દરેક વસ્તુને જાણવી મહત્વપૂર્ણ છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, નિપાહ વાયરસ એક ઝૂનોટિક વાયરસ છે. આ વાયરસ પ્રાણીઓ દ્વારા માણસોમાં ફેલાય છે. ઘણીવાર ખોરાક અને પીણા દ્વારા અને વ્યક્તિથી વ્યક્તિમાં પણ ફેલાય છે. નિપાહનો પહેલો કેસ 1999માં મલેશિયાના ગામ સુંગાઈ નિપાહમાં જોવા મળ્યો હતો. એટલે આ વાયરસનું નામ નિપાહ આપવામાં આવ્યું છે.
આ વાયરસ કેવી રીતે ફેલાય છે?
ઘણા વાયરસની જેમ નિપાહ વાયરસ ફેલાવનાર તરીકે પ્રાણીઓને ગણવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે આ વાયરસ ચામાચીડિયા દ્વારા માણસોમાં ફેલાય છે. જો કે, અમુક લોકોનું માનવું છે કે તે ડુક્કર, કૂતરા, બિલાડી, ઘોડા અને સંભવતઃ ઘેટાં દ્વારા પણ ફેલાય છે. જો કોઈ વ્યક્તિને નિપાહ વાયરસનો ચેપ લાગ્યો હોય તો તે અન્ય લોકોને પણ સંક્રમિત કરી શકે છે.
સંક્રમણ ઓછું પરંતુ મૃત્યુદર વધુ
નિપાહ વાયરસને ઓછો સંક્રમિત પરંતુ વધુ ઘાતક માનવામાં આવે છે. આનાથી સંક્રમણ ઓછું પરંતુ મૃત્યુદર વધુ હોય છે. અગાઉ કેરળમાં નિપાહ વાયરસમાં મૃત્યુદર 45થી 70 ટકા હતો. નિપાહ સંક્રમિત વ્યક્તિના અંતિમ સંસ્કાર કરતી વખતે ખાસ કાળજી લેવી જરૂરી છે. કારણ કે તેનાથી પરિવારના અન્ય સભ્યો પણ સંક્રમિત થઈ શકે છે.
નિપાહ વાયરસના લક્ષણો શું છે?
જો કોઈ પણ વ્યક્તિ નિપાહ વાયરસથી સંક્રમિત થાય છે, તો તે હાઈ તાવ, માથાનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ગળામાં દુઃખાવો, એટીપિકલ ન્યુમોનિયા જેવા લક્ષણો જોવા મળે છે. જો પરિસ્થિતિ વધુ ગંભીર હોય તો એન્સેફાલીટીસનો શિકાર બનતા 24થી 48 કલાકમાં વ્યક્તિ કોમામાં જઈ શકે છે.
નિપાહ વાયરસના લક્ષણો 5 થી 14 દિવસમાં કોઈપણ વ્યક્તિમાં દેખાઈ શકે છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં તે 45 દિવસ સુધી ખેંચાતા હોય છે. ઘણી વખત દર્દીને પોતાને પણ ખબર નથી હોતી કે તે નિપાહથી સંક્રમિત છે. અને તે બીજા કેટલાયને સંક્રમિત કરી દે છે.

