‘EVMમાં ગડબડ હોવાનું મારા પિતા કહે છે, પણ હું નથી માનતો’, ઓમર અબ્દુલ્લાનું ચોંકાવનારું નિવેદન

દરેક ચૂંટણીઓમાં વિપક્ષનો સૌથી મોટો મુદ્દે EVMમાં ગડબડ હોવાનો છે, ત્યારે આ મામલે જમ્મુ-કાશ્મીર મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે ખાનગી ન્યૂઝ એજન્સીના કાર્યક્રમમાં ઈવીએમ હેકને લઈને કહ્યું કે, ‘હું તેવા લોકોમાંથી નથી જેઓ ઈવીએમ હેક થવામાં માને છે. હેક મુદ્દે મારે મારા પિતા (ફારુક અબ્દુલ્લા) સાથે પણ બનતી નથી, કારણ કે તેઓ મશીનમાં ગડબડ થતી હોવાનું માને છે, ત્યારે હું આ માનતો નથી.’
EVMમાં નહીં, ચૂંટણી સાથે છેડછાડ શક્ય : CM અબ્દુલ્લા
મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, ‘હું એવું નથી માનતો કે મશીન (ઈવીએમ)માં ચોરી થાય છે. હા, ચૂંટણી સાથે છેડછાડ ચોક્કસપણે થઈ શકે છે, પરંતુ આવી છેડછાડ વોટર લિસ્ટમાં ફેરફાર કરીને અથવા વિધાનસભા ક્ષેત્રોના સીમાંકન (ડિમિલિટેશન)માં ફેરફાર કરીને કરવામાં આવે છે. જમ્મુ-કાશ્મીરમાં થયેલું અગાઉનું સીમાંકન માત્ર એક જ પાર્ટીને ફાયદો પહોંચાડવા માટે કરવામાં આવ્યું હતું, જે યોગ્ય નથી.’
‘...તો કોંગ્રેસને સાથે લેવી જ પડશે’
અબ્દુલ્લાએ I.N.D.I.A. ગઠબંધનના લઈને ચિંતા વ્યક્ત કરી કહ્યું કે, ‘જો પ્રાદેશિક પક્ષો કેન્દ્ર સ્તરે ભાજપનો સામનો કરવા માંગતા હોય, તો કોંગ્રેસને સાથે લેવી જ પડશે. ભાજપ સિવાય કોંગ્રેસ જ એકમાત્ર એવી પાર્ટી છે, જેનો દેશભરમાં પ્રભાવ છે.
ભાજપની ચૂંટણી વ્યૂહરચનાની પ્રશંસા
તેમણે ભાજપની ચૂંટણી વ્યૂહરચનાની પ્રશંસા કરતાં કહ્યું કે, ‘ભાજપના નેતાઓ દરેક ચૂંટણીમાં જીવ દાવ પર લગાવીને પૂરી તાકાતથી લડે છે. તાજેતરના બિહાર ચૂંટણી બાદ તરત જ તેમના નેતાઓ આગામી ચૂંટણીવાળા રાજ્યોમાં પહોંચી જાય છે, જ્યારે વિપક્ષ ચૂંટણીના માત્ર બે મહિના પહેલા જ સક્રિય થાય છે, જે પરિણામો પર અસર કરે છે.’
I.N.D.I.A. ગઠબંધને ચૂંટણીમાં ગંભીર થવું જરૂરી
ઉમર અબ્દુલ્લાએ સ્વીકાર્યું કે, તેઓ ભલે ઈવીએમ હેકિંગમાં ન માનતા હોય, પણ ચૂંટણી જીતવા માટે ભાજપની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરવી જરૂરી છે. તેમણે ઇન્ડિયા બ્લોકને પણ ભાજપની જેમ દરેક ચૂંટણીને ગંભીરતાથી લેવા અને કોંગ્રેસ સાથે એક મજબૂત રાષ્ટ્રીય જોડાણ જાળવી રાખવા પર ભાર મૂક્યો.

