VIDEO: "NTA માં જગ્યાઓ 34 અને બદલ્યા 47 લોકો!?" NEET પેપર લીક મામલે ગૌરવ ગોગોઈએ સંસદમાં સરકારની પોલ ખોલી?
સંસદમાં શિક્ષણ અને પેપર લીક સંબંધિત કાયદા અંગેની ચર્ચા દરમિયાન કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ની કાર્યશૈલી અને સરકારની નીતિઓ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
"NTA ના સંચાલન અને ચેરમેન પર સરકારને આટલો બધો વિશ્વાસ કેમ?"
NTA માં કરવામાં આવેલી કાર્યવાહી અંગે સવાલો ઉઠાવતા ગૌરવ ગોગોઈએ જણાવ્યું હતું કે, NTA માં મંજૂર થયેલી કેપેસિટી માત્ર 34 પદોની છે, જેમાંથી પણ 10થી 12 જગ્યાઓ ખાલી છે. તો પછી સરકારે કયા 47 લોકો સામે કાર્યવાહી કરી કે તેમને બદલ્યા? સરકારે આ 47 લોકોની વિગતો આપવી જોઈએ. NTA ના ડીજીને બદલી નાખવામાં આવ્યા પરંતુ ચેરમેનને યથાવત રાખવામાં આવ્યા. ગોગોઈએ આક્ષેપ કર્યો કે ચેરમેન એક વિશેષ સંગઠન સાથે જોડાયેલા છે. તેઓ અગાઉ મધ્યપ્રદેશ અને છત્તીસગઢ લોકસેવા આયોગના ચેરમેન હતા ત્યારે પણ ધાંધલી થઈ હતી, છતાં સરકાર તેમને બચાવી રહી છે.
શિક્ષણ પ્રણાલીમાં સંઘનો હસ્તક્ષેપ અંગે તેમણે કહ્યું કે, RSS માટે શિક્ષણ વિભાગ ખૂબ જ મહત્વપૂર્ણ હોવાથી સરકાર શિક્ષણમાં સુધારો લાવવા માંગતી નથી. પરિણામે યુનિવર્સિટીઓમાં વીસી (VC) થી લઈને ફેકલ્ટી સુધી ગુણવત્તા પર ધ્યાન આપવામાં આવતું નથી.
"આ કાયદો તમારી નિષ્ફળતાનું સ્મારક છે"
ગૌરવ ગોગોઈએ બિલ અંગે વાત કરતા સ્પષ્ટ કર્યું કે આ કાયદો માત્ર એક દેખાડા સમાન છે અને તે સરકારની નિષ્ફળતા દર્શાવે છે. 2026ના એક અખબારી અહેવાલનો હવાલો આપતાં તેમણે જણાવ્યું કે, 2024ના નીટ (NEET) પેપર લીકમાં ચાર્જશીટ થયેલા 46માંથી 44 આરોપીઓને જામીન મળી ચૂક્યા છે. માસ્ટરમાઇન્ડ ગણાતો સંજીવ મુખિયા 11 મહિના ફરાર રહ્યા બાદ ધરપકડ થઈ હતી. તેને પણ જામીન મળી ગયા. આ સિવાય અમિત કુમાર બરુઆ અને અમિત કુમાર સિંહ સહિતના આરોપીઓના નામ ગણાવતા તેમણે કહ્યું કે જૂનો કાયદો પણ નિષ્ફળ હતો અને નવો કાયદો પણ નિષ્ફળ સાબિત થશે.
અસમ પૂર માટે વિશેષ પેકેજની માગ
પોતાના સંબોધનમાં ગૌરવ ગોગોઈએ અસમમાં આવેલા વિનાશક પૂર અને તેના કારણે થયેલા 70 લોકોના મોતનો ઉલ્લેખ કરીને કેન્દ્ર સરકાર પાસે અસમ માટે તાત્કાલિક વિશેષ રાહત પેકેજની માગણી પણ કરી હતી.

