'કોઈ માઈનિંગ લીઝ નહીં આપી શકાય', અરવલ્લી મુદ્દે મોદી સરકારનો મોટો નિર્ણય

અરવલ્લી માઇનિંગ મુદ્દા વચ્ચે કેન્દ્ર સરકારે બુધવારે એક મોટો નિર્ણય લીધો. કેન્દ્રએ રાજ્યોને અરવલ્લીમાં નવા ખાણકામ લીઝ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો. અધિકારીઓએ જણાવ્યું હતું કે સરકાર અરવલ્લી ઇકોસિસ્ટમના સંરક્ષણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને જૈવવિવિધતા સંરક્ષણમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકાને સ્વીકારે છે.
દિલ્હીથી ગુજરાત સુધી ફેલાયેલી અરવલ્લી પર્વતમાળા છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનો વિષય બની છે. ગેરકાયદેસર ખનનથી બચાવવા માટે મોટું પગલું ભરતા કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે રાજ્યોને અરવલ્લીમાં કોઈપણ નવા ખાણકામ લીઝ આપવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાના નિર્દેશો જારી કર્યા છે.
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "આ પ્રતિબંધ સમગ્ર અરવલ્લી પર્વતમાળામાં સમાન રીતે લાગુ થશે. જેનો હેતુ આ પર્વતમાળાની અખંડિતતા જાળવવાનો છે. આ નિર્દેશોનો હેતુ ગુજરાતથી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર સુધી ફેલાયેલી સતત ભૂસ્તરશાસ્ત્રીય પર્વતમાળા તરીકે અરવલ્લીનું રક્ષણ કરવાનો અને બધી અનિયંત્રિત ખાણકામ પ્રવૃત્તિઓને રોકવાનો છે.
માઇનિંગ લીઝના નિયમો વધુ કડક બનાવાશે
સરકારે કહ્યું કે, પહેલાથી જ આપવામાં આવેલા માઇનિંગ લીઝને નિયંત્રિત કરતા નિયમોને વધુ કડક બનાવવામાં આવશે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે આ માટે રાજ્યોને નિર્દેશો જારી કર્યા છે. વધુમાં પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEF&CC)એ ભારતીય વન સંશોધન અને શિક્ષણ પરિષદ (ICFRE)ને અરવલ્લી પ્રદેશમાં વધારાના વિસ્તારો અથવા ઝોન ઓળખવાનો નિર્દેશ આપ્યો છે, જ્યાં માઇનિંગ પર પ્રતિબંધ હોવો જોઈએ. આ વિસ્તારો કેન્દ્ર દ્વારા પહેલાથી જ પ્રતિબંધિત માઇનિંગ વિસ્તારો ઉપરાંત હશે અને ઇકોલોજીકલ, ભૂસ્તરશાસ્ત્રીય અને લેન્ડસ્કેપ-સ્તરના વિચારણાઓના આધારે તેની ઓળખ કરવામાં આવશે.
કેન્દ્ર સરકારે ICFREના અરવલ્લી પ્રદેશમાં સતત માઇનિંગ મામલે એક વૈજ્ઞાનિક યોજના (MPSM) બનાવવાનો નિર્દેશ કર્યો છે. આ યોજના દ્વારા જોવામાં આવશે કે, માઇનિંગના કારણે પ્રકૃત્તિ પર કેટલી ખરાબ અસર પડી રહી છે અને અરવલ્લી પ્રદેશ કેટલો ભાર સહી શકે છે. સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરવામાં આવશે, જેથી તેને માઇનિંગથી બચાવીને સુરક્ષિત રાખી શકાય.

