ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં NDA ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનનો વિજય, 14 સાંસદોનું ક્રોસવોટિંગ

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં NDA ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનનો વિજય થયો છે. તેમને 452 મત તેમને મળ્યા છે. બીજી તરફ વિપક્ષના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીને 300 મત મળતા તેઓનો પરાજય થયો છે.
સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી જીતી ગયા છે. તેઓ દેશના 17મા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. ચૂંટણીમાં તેમને 452 મત મળ્યા હતા. બીજી તરફ, બી સુદર્શન રેડ્ડીને હારનો સામનો કરવો પડ્યો હતો. રેડ્ડીને 300 મત મળ્યા હતા. કુલ 767 સાંસદોએ મતદાન કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં કુલ 98.2 ટકા મતદાન થયું હતું.
ગઠબંધનના 14 સાંસદોનું ક્રોસ વોટિંગ
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં NDA ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન જીત્યા છે. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીના પરિણામો બતાવે છે કે વિપક્ષમાં ભંગાણ છે. ચૂંટણીમાં મતદાતા તરીકે NDA પાસે કુલ 427 સાંસદ હતા. માની લો કે જગનમોહન રેડ્ડીની પાર્ટી YSR કોંગ્રેસના તમામ 11 સાંસદોએ NDA ઉમેદવારની તરફેણમાં મતદાન કર્યું હોય તો આ આંક 438 સુધી પહોંચે. પરંતુ CP રાધાકૃષ્ણનને કુલ 452 મત મળ્યા. અર્થાત 14 વિપક્ષી સાંસદોએ NDA ઉમેદવારની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું.
NDA ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન ભારતના આગામી ઉપરાષ્ટ્રપતિ બનશે
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં કુલ 767 સાંસદોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. મતગણતરી દરમિયાન 752 માન્ય અને 15 મત અમાન્ય જાહેર કરવામાં આવ્યા. CP રાધાકૃષ્ણનને 452 પ્રથમ પસંદગીના મત મળ્યા જ્યારે ઇન્ડિયા બ્લોકના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીને ફક્ત 300 પ્રથમ પસંદગીના મત મળ્યા.
આજે(9 સપ્ટેમ્બર) સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી 768 સાંસદોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભારતીય સંસદમાં લોકસભા અને રાજ્યસભા સહિત કુલ 788 સાંસદો છે. હાલમાં બંને ગૃહોમાં 7 બેઠકો ખાલી છે. આ રીતે કુલ 781 સાંસદોએ મતદાન કરવાનું હતું, જેમાંથી 13 સાંસદોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. જેમાં BRSના 4, BJDના 7, અકાલી દળના 1 અને 1 અપક્ષ સાંસદે મતદાન કર્યું ન હતું. NDAના 427 સાંસદોએ મતદાન કર્યું હતું.
વડાપ્રધાન મોદીએ શુભેચ્છા પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી.પી.રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત બદલ શુભકામના પાઠવી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરતા લખ્યુ, "તેમનું જીવન હંમેશા સમાજની સેવા અને ગરીબો તેમજ હાંસિયામાં રહેલા લોકોને સશક્ત બનાવવા માટે સમર્પિત રહ્યું છે. મને વિશ્વાસ છે કે તે એક ઉત્કૃષ્ટ ઉપરાષ્ટ્રપતિ બનશે, જે આપણા બંધારણીય મૂલ્યોને મજબૂત કરશે અને સંસદીય સંવાદને આગળ વધારશે."
કોણ છે સીપી રાધાકૃષ્ણન?
ઓબીસી કેટેગરીમાંથી આવતા ચંદ્રપુરમ પોન્નુસ્વામી રાધાકૃષ્ણન (સીપી રાધાકૃષ્ણન), જેઓનો જન્મ 20 ઓક્ટોબર 1957ના રોજ તમિલનાડુના તિરુપુરમાં થયો હતો, તેઓ ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા રહ્યા છે અને તાજેતરમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. રાધાકૃષ્ણને તેમની રાજકીય કારકિર્દી આરએસએસ અને જનસંઘથી શરૂ કરી હતી. તેઓ 1998 અને 1999માં કોઈમ્બતુરથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ 2003થી 2006 સુધી તમિલનાડુ ભાજપ પ્રમુખ હતા.
સીપી રાધાકૃષ્ણન ફેબ્રુઆરી-2023થી જુલાઈ 2024 સુધી ઝારખંડના રાજ્યપાલ હતા. આ ઉપરાંત, તેમણે માર્ચથી જુલાઈ 2024 સુધી તેલંગાણાનો વધારાનો હવાલો અને માર્ચથી ઓગસ્ટ 2024 સુધી પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નરનો વધારાનો હવાલો પણ સંભાળ્યો હતો. તેઓ 31 જુલાઈ 2024થી મહારાષ્ટ્રના રાજ્યપાલ છે.
સીપી રાધાકૃષ્ણનનું નોંધપાત્ર કાર્ય
વર્ષ-2004-2007 દરમિયાન, તમિલનાડુ ભાજપના પ્રમુખ તરીકે, તેમણે 93 દિવસની રથયાત્રા કાઢી હતી, જેનો હેતુ નદીઓને જોડવાનો, આતંકવાદ સામે જાગૃતિ લાવવાનો અને અસ્પૃશ્યતાને નાબૂદ કરવાનો હતો. તેઓ સંસદમાં કાપડ પરની સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ હતા. તેમણે નાણાકીય અને જાહેર ક્ષેત્રના ઉપક્રમોને લગતી ઘણી સમિતિઓમાં પણ સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમણે કોઈમ્બતુરની વીઓ ચિદમ્બરમ કૉલેજમાંથી બીબીએની ડિગ્રી મેળવી હતી.

