કતારના પૂર્વ અમીરના સન્માનમાં ભારતમાં આવતીકાલે રાષ્ટ્રીય શોક, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

ભારત સરકારે કતારના પૂર્વ અમીર શેખ હમદ બિન ખલીફા અલ થાનીના નિધન પર મોટી જાહેરાત કરી છે. તેમના સન્માનમાં 13 જુલાઈએ ભારતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગો અડધી કાઠીએ ઝૂકેલો રહેશે અને સરકાર દ્વારા કોઈ પણ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં.
પીએમ મોદીએ ગણાવ્યા ભારતના 'સાચા મિત્ર'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કતારના પૂર્વ અમીરના નિધન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, 'કતારના ફાધર અમીર મહમહામ શેખ હમદ બિન ખલીફા અલ થાનીના નિધન પર અમને ઘણું દુઃખ થયું છે. તેઓ એક દુરંદેશી નેતા હતા, જેમણે કતારને વિકાસ અને સમૃદ્ધિની નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું. અમે તેમને ભારતના એક સાચા મિત્ર તરીકે હંમેશા યાદ રાખીશું.' પીએમ મોદીએ ફેબ્રુઆરી 2024ની પોતાની કતાર મુલાકાત દરમિયાન તેમની સાથે થયેલી મુલાકાતને પણ યાદ કરી હતી.
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ કતાર જશે
ભારત સરકાર વતી સત્તાવાર શોક સંદેશ પહોંચાડવા માટે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ ટૂંક સમયમાં કતારની મુલાકાત લેશે તેવી સંભાવના છે. આ ઉપરાંત પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફ અને યુએઈના પીએમ શેખ મોહમ્મદ સહિત દુનિયાભરના મોટા નેતાઓએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. યુએઈના પીએમ શેખ મોહમ્મદે ભાવુક થઈને લખ્યું કે, 'આપણે આપણા પ્રિય ફાધર અમીરને ખોઈ દીધા છે, જે આપણા બધા માટે બહુ મોટી ખોટ છે.'
કોણ હતા શેખ હમદ?
શેખ હમદ બ્રિટનમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને 1971માં કતારની આર્મીમાં જોડાયા હતા. કતારના આધુનિક ઈતિહાસ પુસ્તક અનુસાર, તેમણે 1995માં કોઈ પણ હિંસા વગર એક શાંતિપૂર્ણ તખ્તાપલટ કરીને દેશની સત્તા પોતાના હાથમાં લીધી હતી અને કતારને એક સમૃદ્ધ દેશ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

