વકફ બિલ વિરૂદ્ધ મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડનું પ્રદર્શન, અનેક નેતાઓ જંતર-મંતર પહોંચ્યા

દિલ્હીમાં વકફ સંશોધન બિલ વિરૂદ્ધ મુસ્લિમ સંગઠનો દ્વારા જંતર-મંતર પર ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. આ વિરોધમાં કેટલાક વિપક્ષના નેતાઓ પણ સામેલ થયા છે. આ ધરણાનું આયોજન ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ (AIMPLB) તરફથી કરવામાં આવ્યું છે જેમાં બોર્ડ સિવાય જમીયત ઉલેમા એ હિન્દ, જમાતએ ઇસ્લામી જેવા મુસ્લિમ સંગઠન પણ સામેલ થયા છે.માનવામાં આવે છે કે સરકાર વર્તમાન સત્ર (બજેટ સત્રના બીજા તબક્કા)માં આ બિલ સંસદમાં રજૂ કરી શકે છે.બોર્ડે કહ્યું કે, જો આ બિલ પસાર થયું તો રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે.
અમારા માટે મોહબ્બતના દરવાજા બંધ થયા-AIMPLB
ઓલ ઇન્ડિયા પર્સનલ લૉ બોર્ડના સેક્રેટરી તાલિબ રહમાનીએ કહ્યું, "PM મોદીએ કહ્યું હતું કે ઇદના દિવસે તેમના ઘરે ભોજન બનતું નહતું. પીએમ સાહેબ અમે આજે પણ તમારા માટે શુદ્ધ શાકાહારી ભોજન મોકલવા માટે તૈયાર છીએ. અમારૂ રસોડુ આજે પણ બંધ નથી થયું પરંતુ અમારા માટે તમારા તરફથી મોહબ્બતના દરવાજા બંધ થઇ ગયા છે. ભારતને બાંગ્લાદેશની હસીના સારી લાગે છે પરંતુ હિન્દુસ્તાનનો હુસૈન સારો નથી લાગતો."
સલમાન ખુર્શીદે પણ નોંધાવ્યો વિરોધ
વકફ સંશોધન બિલ વિરૂદ્ધ દિલ્હીના જંતર મંતર પર થઇ રહેલા પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના સીનિયર નેતા સલમાન ખુર્શીદ પણ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમને કહ્યું, અમારી કોમે દેશ માટે કુરબાની આપી છે. અમારો દેશ એકતાનો નમૂનો હતો. હવે તેની ઓળખ પર સવાલ ઉભા થઇ રહ્યાં છે. ઉત્તરાખંડમાં UCC પર પણ સવાલ ઉભા થયા છે. સરકારે અમારી વાત નથી સમજી. બંધારણ અમારો સાથ આપશે.

