ખાખી શરમાઈ! કોન્સ્ટેબલને ધમકાવવાના કેસમાં ૩ આરોપી મુક્ત, કોર્ટે કહ્યું- ‘ફરિયાદી કોન્સ્ટેબલ પોતે જ દારૂના નશામાં ધૂત હતો’

મુંબઈ - લીસ કોન્સ્ટેબલને ધમકાવીને મારપીટ કરવાના ૨૦૧૮ના કેસમાંથી થાણે કોર્ટે ત્રણ આરોપીને મુક્ત કર્યા છે. અદાલતે ચુકાદામાં જણાવ્યું હતું કે સરકારી પક્ષનો કેસ શંકાસ્પદ છે અને તપાસ અધિકારીએ હકીકત છુપાવી હતી કે કોન્સ્ટેબલ પોતે જ દારુના નશામાં હતો.
અદાલતે નોંધ્યું હતું કે કોન્સ્ટેબલને માર મરાયાની ફરિયાદ છે પરંતુ વાસ્તવમાં કોન્સ્ટેબલ તથા અન્ય સાક્ષીદારોએ જ મારપીટ કરી હતી તેવી બચાવ પક્ષની દલીલ માનવાયોગ્ય લાગે છે.
થાણેના યેઉર ગેટ પાસે કેસના ફરિયાદી કોન્સ્ટેબલ નવનાથ થોર્વેએ બીજી માર્ચ ૨૦૧૮ના રોજ મોટરસાઈકલ સવાર નશામાં હોવાનું જાણીને તેને અટકાવી હતી. એ સમયે હોળીની ઉજવણી ચાલી રહી હતી. વાહન જપ્ત કરાયું ત્યારે આરોપીઓએ ગાળો ભાંડીને ફરિયાદીને લાફો માર્યો હતો. જોકે તબીબી પુરાવાને લઈ કેસ પલટાઈ ગયો હતો. કોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે તબીબી અધિકારીએ તપાસ દરમ્યાન ફરિયાદી પોતે ભારે નશામાં હોવાનું જણાયાનું નિવેદન આપ્યું હતું.
આ પરથી સાબિત થાય છે કે તપાસ અ ધિકારીએ હેતુપૂર્વક અધૂરી માહિતી આપી હતી.પૂછેલા સવાલનો જવાબ તે આપી શકતો નોહોતો અને બબડાટ કરતો હતો અને તેની સેન્ટ્રલ નર્વલ સિસ્ટમ દિશાહિન જણાઈ હોવાની કોર્ટે નોંધ કરી હતી. આથી આખો કેસ શંકાસ્પદ બને છે ઉલટાનું બચાવ પક્ષે કરેલી પોતાની મારપીટની વાત સાચી હોઈ શકે છે.
બ્રિધ એનલાઈઝર રિપોર્ટ કે આરોપીઓ દ્વારા ઈજા પહોંચાડાઈ હોવાનો કોઈ પરાવો નથી રજૂ કરાયો હતો. આથી કોર્ટે ત્રણેય આરોપીને મુક્ત કર્યા હતા.

