'વિશ્વમાં ટૂંક સમયમાં શાંતિ સ્થપાશે', પુતિન- PM મોદી વચ્ચે હૈદરાબાદ હાઉસમાં મિટિંગ

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન બે દિવસની ભારતની મુલાકાતે આવ્યા છે. ગઇકાલે વડાપ્રધાન મોદીએ તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું અને પછી બંને નેતાઓ એક જ ગાડીમાં બેસીને વડાપ્રધાનના નિવાસ સ્થાને બેઠક માટે ગયા હતા. આજે બંને નેતાઓ વચ્ચે હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ. બંને નેતાઓ 23મી ભારત-રશિયા શિખર સંમેલનમાં ભાગ લેશે. બંને દેશો વચ્ચેટ્રેડ અને ડિફેન્સ સહિત અનેક મુદ્દે વાટાઘાટો થશે. ભારત-રશિયા વચ્ચે શુક્રવારે 25થી વધુ સમજૂતીઓ પર મહોર લાગી શકે છે.
પુતિને યુક્રેનમાં શાંતિના પ્રયાસો માટે વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે રશિયા પણ શાંતિના પક્ષમાં છે.
PM મોદીએ રાષ્ટ્રપતિ પુતિનની યાત્રાને ઐતિહાસિક ગણાવી. તેમણે કહ્યું કે આ વખતના ભારત-રશિયા સમિટમાંથી કેટલાક મોટા પરિણામો નીકળી રહ્યા છે. મોદીએ કહ્યું કે પુતિન પહેલીવાર 2000માં ભારત આવ્યા હતા. તે જ યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીનો મજબૂત પાયો નાખવામાં આવ્યો હતો.
વિશ્વમાં ટૂંક સમયમાં જ શાંતિ સ્થપાશે: પીએમ મોદી
હૈદરાબાદ હાઉસમાં પુતિને યુક્રેનમાં શાંતિ સ્થાપિત કરવા માટે ભારતના પ્રયાસોના વખાણ કર્યા. જે બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું, કે ભારત તટસ્થ નથી, ભારત શાંતિના પક્ષમાં છે. યુક્રેન સંકટ પર સતત વાતચીત થઈ રહી છે અને શાંતિ માટેના પ્રયાસ કરાઈ રહ્યા છે. શાંતિના માર્ગથી જ વિશ્વનું કલ્યાણ થશે અને શાંતિના દરેક પ્રયાસમાં ભારત તમારી સાથે છે. આ વિશ્વ ટૂંક સમયમાં જ ચિંતાઓથી મુક્ત થશે અને શાંતિ સ્થપાશે.
'ભારત તટસ્થ નથી, ભારત શાંતિના પક્ષમાં...': PM મોદી
હૈદરાબાદ હાઉસમાં પુતિન અને વડાપ્રધાન મોદીની દ્વિપક્ષીય વાર્તા શરૂ થઈ ચુકી છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને કહ્યું કે, અમને વિશ્વાસ છે કે રશિયા અને યુક્રેન જલ્દી શાંતિના રસ્તે આગળ વધશે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું કે, ભારત તટસ્થ નથી પરંતુ, ભારત મજબૂતી સાથે શાંતિના પક્ષમાં ઊભું છે.
PM મોદીએ પુતિનને દીર્ઘદૃષ્ટા નેતા ગણાવ્યા
પુતિન સાથેની દ્વિપક્ષીય બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, કે 2001માં તમે પદ સંભાળ્યું અને પહેલીવાર ભારત આવ્યા હતા, તે વાતને 25 વર્ષ થઈ ગયા. તે પહેલી ભારત મુલાકાતમાં તમે બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોનો પાયો નાંખ્યો હતો. મારા માટે પણ ખુશીની વાત છે કે તમારા અને મારા સંબંધોને પણ 25 વર્ષ થયા. તમે 2001માં જે ભૂમિકા નિભાવી તે એક દીર્ઘદૃષ્ટા નેતાનું ઉત્તમ ઉદાહરણ છે.

