તેજસ વિમાનમાં શહીદ નમંશની પત્ની પણ પાયલટ, પિતા ભારતીય સેનામાં રહી ચૂક્યા છે અધિકારી

દુનિયાના સૌથી મોટા એર શોમાંના એક દુબઈ એર શોમાં શુક્રવારે ભારતનું સ્વદેશી મલ્ટી-રોલ લાઈટ કોમ્બેટ ફાઈટર જેટ તેજસ હવામાં કરતબ બતાવતા અચાનક ક્રેશ થઈ ગયુ હતું. આ દુર્ઘટનામાં ભારતીય એરફોર્સના પાયલટ નમંશ સ્યાલનું મોત નીપજ્યું હતું. આ દુર્ઘટના શુક્રવારે અલ મક્તૂમ એરપોર્ટ પર યોજાઈ રહેલા એર શોમાં ડેમો ફ્લાઈટ દરમિયાન ભારતીય સમય 3:40 વાગ્યે થઈ હતી. નમંશ સ્યાલ લગભગ 20 વર્ષની ઉંમરે શાળા છોડ્યા પછી તરત જ એરફોર્સમાં ભરતી થઈ ગયા હતા.
પત્ની પણ છે પાયલટ
પટિયાલકરના વોર્ડ નંબર 7 નિવાસી નમંશ (35)ના પિતા જગન્નાથ સ્યાલ નિવૃત આચાર્ય છે અને માતા વીણા દેવી ગૃહિણી છે. મૃતકની એક બહેન છે. તેમની પત્ની અફંશા પણ એરફોર્સમાં જ પાયલટ છે. તેમના વર્ષ 2014માં લગ્ન થયા હતા અને તેમને 7 વર્ષની દીકરી પણ છે. નમંશના પિતા ગગને જણાવ્યું કે, નમંશનો મૃતદેહ હજુ સુધી પહોંચ્યો નથી. તેના માટે સરકાર સાથે વાતચીત ચાલી રહી છે. આ ઘટનાથી માત્ર ગામમાં જ નહીં પરંતુ સમગ્ર નગરોટા બગવાન વિધાનસભા મતવિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
દુબઈમાં અફંશા સાથે કર્યા હતા લગ્ન
નમંશ દુબઈમાં અફંશા સાથે લગ્ન કર્યા હતા અને મોટાભાગે તે ત્યાં જ તેના પરિવાર સાથે રહેતા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે તે ક્યારેક-ક્યારેકપોતાના પૈતૃક ગામ પટિયાલકરમાં આવતા રહેતા હતા.
પિતા પણ હતા એરફોર્સમાં
નમંશ સ્યાલ ભારતીય વાયુસેનામાં એક કુશળ અને સાહસી પાયલટ તરીકે જાણીતા હતા. તેમના પિતા જગન્નાથ ભારતીય સેનામાં અધિકારી રહી ચૂક્યા છે અને બાદમાં શિક્ષણ વિભાગમાંથી આચાર્ય તરીકે નિવૃત્ત થયા હતા.
નમંશ પોતાની પાછળ પત્ની અફંશા જે ખુદ પણ ભારતીય વાયુસેનામાં અધિકારી છે અને એક નાની દીકરીને છોડી ગયા છે. તેમની માતા વીણા દેવી અને પિતા જગન્નાથ હૈદરાબાદ ફરવા ગયા હતા. બંનેએ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે, દેશે એક હોનહાર અને નીડર પુત્ર ગુમાવ્યો છે.

