મણિપુર: CRPFના જવાને અંધાધૂન ગોળીબાર કરી બેની હત્યા કરીને ખુદ આત્મહત્યા કરી, 8 જવાનો ઘાયલ

મણિપુરના ઇમ્ફાલમાં એક CRPF જવાને તેના બે સાથીદારોની હત્યા કરી અને પછી પોતાને ગોળી મારી આત્મહત્યા કરી ખળભળાટ મચાવી દીધો હતો. આ સનસનાટીભરી ઘટના ગુરુવારે રાત્રે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના એક કેમ્પમાં બની હતી.
અંધાધૂંધ ગોળીબાર કર્યો
માહિતી મુજબ એક જવાને અંધાધૂંધ ગોળીબાર કરીને તેના બે સાથીદારોની હત્યા કરી અને પછી પોતાની જાતને ગોળી મારી લીધી. આ ઘટનામાં આઠ અન્ય સૈનિકો ઘાયલ થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના લેમ્ફેલ સ્થિત CRPF કેમ્પમાં રાત્રે લગભગ 8:20 વાગ્યે બની હતી.
120મી બટાલિયનનો જવાન હતો
આરોપી જવાન સંજય કુમાર 120મી બટાલિયનમાં હવાલદાર હતો. તેણે અચાનક પોતાની સર્વિસ રાઇફલથી ગોળીબાર શરૂ કરી દીધો. તેણે પહેલા એક કોન્સ્ટેબલ અને એક સબ-ઇન્સ્પેક્ટરને નિશાન બનાવ્યા, જેમાં બંનેનું ઘટનાસ્થળે જ મોત થયું. આ પછી આરોપીએ પોતાને પણ ગોળી મારી દીધી.
આઠ જવાન ઘાયલ, હોસ્પિટલ ખસેડાયા
આ હુમલામાં કુલ આઠ અન્ય જવાનો પણ ઘાયલ થયા હતા. બધા ઘાયલોને તાત્કાલિક ઇમ્ફાલ સ્થિત રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (RIMS) માં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ સમયે, ગોળીબારનું કારણ જાણી શકાયું નથી. સીઆરપીએફ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં કારણ બહાર આવશે.અધિકારીઓના મતે, તપાસ પૂર્ણ થયા પછી જ આ કેસ પાછળનું કારણ સ્પષ્ટ થશે. સીઆરપીએફના વરિષ્ઠ અધિકારીઓ કેમ્પમાં પહોંચી ગયા છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે.

