દિલ્હીના બુરાડીમાં મોટી દુર્ઘટના, 4 માળની ઇમારત ધરાશાયી થતા 2ના મોત, 12 લોકો થયા ઘાયલ

દિલ્હીના બુરાડી વિસ્તારમાં ગઈકાલે એટલે કે સોમવારે, 27 જાન્યુઆરી 2025ના રોજ સાંજે નિર્માણાધીન ચાર માળની ઇમારત ધરાશાયી હતી. ઘટના સમયે લગભગ દસથી પંદર મજૂરો અને તેમના પરિવારના સભ્યો ઇમારતમાં હાજર હતા. પોલીસ ઉપરાંત ફાયર વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. મુખ્યમંત્રી આતિશીએ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે.
બુરાડી અકસ્માતમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત
બુરાડી અકસ્માતમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે. ધરાશાયી થયેલી ઇમારત નીચે ઘણા લોકો દટાયા હતા અને તેને બુરાડીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 12 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બુરાડી અકસ્માતમાં 7 વર્ષની બાળકી રાધિકાનું અને સાધના નામની 17 વર્ષની છોકરીનું અવસાન થયું છે.
રાધિકા નામની એક 7 વર્ષની બાળકીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તેને સરકારી હોસ્પિટલમાં પણ લાવવામાં આવી છે. જ્યાં પોલીસે મૃતકના પંચનામા તૈયાર કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ સ્થાનિક લોકોએ કાટમાળ નીચે ફસાયેલા ચાર લોકોને બચાવી લીધા હતા. તેને નજીકના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. સ્થાનિક લોકો સાથે મળીને બચાવ ટીમ રાહત કાર્યમાં રોકાયેલી છે. મોડી રાત્રે કાટમાળમાંથી વધુ છ લોકોને બચાવી લેવામાં આવ્યા અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કાટમાળ નીચે હજુ ઘણા લોકો ફસાયેલા હોવાની શક્યતા છે.
આ પણ વાંચો: વકફ સુધારા બિલને JPCની મંજૂરી, 40 અભિપ્રાયોમાંથી ભાજપે રજૂ કરેલા 14 મુદ્દાઓ બહુમતિથી પાસ
ડેપ્યુટી પોલીસ કમિશનર રાજા બંઠિયાએ જણાવ્યું હતું કે સોમવારે સાંજે લગભગ 6.30 વાગ્યે, પોલીસને બુરાડીના કૌશિક એન્ક્લેવમાં ચાર માળની બાંધકામ હેઠળની ઇમારત ધરાશાયી થવાની માહિતી મળી હતી. સ્થાનિક લોકોએ પોલીસને જણાવ્યું કે બસો ગજમાં એક ઇમારતનું બાંધકામ ચાલી રહ્યું હતું. ઘટના સમયે લગભગ 10થી 15 મજૂરો કામ કરી રહ્યા હતા. જ્યારે તેના પરિવારના સભ્યો પણ ત્યાં હાજર હતા. જોકે, સ્થાનિક લોકોએ તાત્કાલિક ચાર લોકોને બચાવી લીધા અને હોસ્પિટલ લઈ ગયા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. પોલીસ, ફાયર બ્રિગેડ, ડીડીએમએ અને એનડીઆરએફની ટીમો રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલી છે.
સ્થાનિક રહેવાસી રામ નિવાસે જણાવ્યું હતું કે મજૂરોએ મકાનના ખાલી પ્લોટમાં રહેવા માટે ચાર ઝૂંપડા બનાવ્યા હતા. ઇમારતનો કાટમાળ પણ ઝૂંપડપટ્ટી પર પડ્યો છે. અહીં કેટલા લોકો હાજર હતા તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ અહીં કામ કરાવતા કોન્ટ્રાક્ટર અને મકાનમાલિકને શોધી રહી છે. તેમજ ફાયર વિભાગના ડિરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું હતું કે નવ ફાયર એન્જિન ઘટનાસ્થળે હાજર છે અને ફાયર ફાઇટરો રાહત અને બચાવ કાર્ય કરી રહ્યા છે. ફાયર ફાઇટર્સ કાટમાળ નીચે ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે.

